દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા નગરમાં બસ સ્ટેન્ડની સુવિધાના અભાવે સવા મહિના પહેલા ચાલુ થયેલ લાંબા રૂટની બે બસો બંધ કરવામાં આવતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામજોધપુર અને જામખંભાળીયા બંન્ને બસોના ચાલકો પાસે ત્રણ દિવસની નોકરી બે દિવસમાં કરાવાતી હતી. 1200 કિ.મી.નું અંતર અને ત્યાર બાદ રહેવા, સુવાની કોઈ સુવિધા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
એસ.ટી. નિમગને રાજ્યમાં સૌથી વધુ કમાણી દાહોદ જીલ્લામાંથી મળતી હોવાની વાતને નકારી શકાતી નથી. અને તેમાં પણ ગરબાડા તાલુકામાંથી સૌથી વધારે મુસાફરો હોય છે. તેમ છતાં પણ સૌથી વધુ આવક આપતી ગરબાડા તાલુકાની પ્રજાને આજે વર્ષોથી બસ સ્ટેન્ડની સુવિધાથી મુસાફરોને વંચિત રાખવામાં આવી રહ્યાં છે. ભાડાની વસુલાત કરવામાં આવે છે,પરંતુ સુવિધા આપવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. ગરબાડામાં અંદાજે સવા મહિના પહેલા જામજોધપુર અને જામખંભાળીયા એમ બે નવીન એક્સપ્રેસ કાઠીયાવાડની બસો ચાલુ કરવામાં આવી હતી. જે બંન્ને બસો સવારમાં ગરબાડામાં આવી જતી હતી અને સાંજના પરત રિટર્ન થતી હતી. પરંતુ સ્થાનીક કક્ષાએ તાલુકા મથકના ગામમાં બસ સ્ટેન્ડની સુવિધા ન હોવાને કારણે ડ્રાઈવર, કંડક્ટરને રહેવા તેમજ સુવા માટેની અગવડતા પડતી હોય કેસનું જોખમ લઈને ત્યાં સુવુ પડતું હોય 600થી 1200 કિલોમીટરના રૂટની ત્રણ દિવસની નોકરી બસના ચાલક પાસે માત્ર બે દિવસમાં કરાતી હોવાના કારણે બંન્ને બસો તારીખ 15થી બંધ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય પક્ષો દ્વારા માત્ર મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે. પરંતુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. તે કડવું સત્ય છે. વિકાસની વાતો હવા થઈ હોવાનું જોવા મળી રહ્યું છે.