એસ્સારે ગુજરાત સરકાર સાથે એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરમાં કુલ રૂ.૫૫,૦૦૦ કરોડના ત્રણ એમઓયુ કર્યા

એસ્સારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા કુલ રૂ।.55,000 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા. એસ્સાર રાજ્યમાં એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરના ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણ કરવાના નવા તબક્કામાં છે. આ પહેલથી 10,000થી વધુ નોકરીની તકો ઊભી થશે. 

વધુમાં છેલ્લા ચાર દાયકામાં એસ્સારે ગુજરાતમાં એનર્જી, મેટલ્સ અને માઈનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રૂ।.1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. એસ્સારની ગ્રોથ સ્ટોરીમાં ગુજરાતે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. મુખ્ય ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં કંપનીના રોકાણોએ રાજ્યના ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં વધારો કર્યો છે, જે ગુજરાત રાજ્યને રોકાણના પસંદગીના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરતો કેસ સ્ટડી છે. એમઓયુ પર હસ્તાક્ષર કર્યા અંગે એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઈયાએ જણાવ્યું હતું કે, એસ્સારના વ્યૂહાત્મક રોકાણોમાં ગુજરાત રાજ્ય સતત મોખરે રહ્યું છે. ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રૂ।.55,000 કરોડના વધારાના રોકાણ સાથે રાજ્યની આર્થિક પ્રગતિમાં સહભાગી થવા બદલ અમને આનંદની લાગણી થાય છે.

એનર્જી ટ્રાન્ઝિશનમાં રોકાણ કે જેમાં એસ્સારે 1 ગીગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે એમઓયુ કર્યા છે. આ પહેલમાં અંદાજે રૂ।.30,000 કરોડનું રોકાણ થશે. ઉપરાંત એસ્સાર પાવરે તેના સલાયા પાવર પ્લાન્ટમાં બીજા તબક્કાના વિસ્તરણ માટે રૂ।.16,000 કરોડના વધારાના રોકાણની જાહેરાત કરી છે. પોર્ટ સેક્ટરમાં રોકાણની વાત કરીએ તો એસ્સાર પોર્ટ્સ રૂ।.10,000 કરોડના રોકાણ સાથે તેના સલાયા પોર્ટને લોજિસ્ટિક્સ હબમાં રૂપાંતરિત કરશે.આ કરારો પર હસ્તાક્ષર ગુજરાતની બહુપક્ષીય વૃદ્ધિના માર્ગમાં એસ્સારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.