વારાણસી, દેશના પ્રથમ વ્યંઢળ મહા મંડલેશ્વર હેમાંગી સાખી વારાણસી લોક્સભા બેઠક પરથી ચૂંટણી લડશે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ બનારસથી હેમાંગી સાખીને ટિકિટ આપી છે. તે ૧૨ એપ્રિલે બનારસ પહોંચશે અને બાબા વિશ્વનાથના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
મહા મંડલેશ્વરહેમાંગી સાખીએ કહ્યું કે સમગ્ર દેશમાં કિન્નર સમુદાયની સ્થિતિ દયનીય છે. ટ્રાન્સજેન્ડર સમુદાય માટે એક પણ સીટ અનામત રાખવામાં આવી નથી. ટ્રાન્સજેન્ડર સમુદાય લોક્સભા અને વિધાનસભામાં કેવી રીતે પોતાના વિચારો રજૂ કરશે? વ્યંઢળ સમાજનું નેતૃત્વ કોણ કરશે? ટ્રાન્સજેન્ડર સમુદાયના ભલા માટે હું ધર્મમાંથી રાજકારણ તરફ વળ્યો છું.
હેમાંગી સાળીએ કહ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી, તેમણે પણ ધર્મનું કામ કર્યું છે. અમારો એક જ પ્રયાસ છે કે અમારી વાત સરકારના કાન સુધી પહોંચે. એટલા માટે વારાણસી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહામંડલેશ્ર્વરે કહ્યું કે સરકારે બેટી બચાવો બેટી પઢાવોનો નારો આપ્યો છે. અમે તેની કદર કરીએ છીએ, દીકરીઓ વિશ્ર્વની માતાનું મૂર્ત સ્વરૂપ છે પરંતુ સરકાર અર્ધનારીશ્ર્વરને ભૂલી ગઈ છે. આપણે પણ આ સૂત્ર સાંભળવા માંગીએ છીએ, એ દિવસ ક્યારે આવશે? કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર પોર્ટલ બહાર પાડ્યું છે પરંતુ શું વ્યંઢળો તેના વિશે જાણે છે? જે લોકો રસ્તા પર ભીખ માંગે છે તેઓને એ પણ ખબર નથી કે તેમના માટે કોઈ પોર્ટલ છે.
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે સરકારે પોર્ટલ બહાર પાડ્યું ત્યારે તેનો પ્રચાર કેમ ન કર્યો? જેન્ડર બોર્ડ બનાવીને કશું પ્રાપ્ત થતું નથી. સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સીટો અનામત રાખવી પડશે, તો જ પરિસ્થિતિ બદલાશે.
જો આજે ભાજપ સરકારે વ્યંઢળો માટે પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા હોત તો કદાચ મહામંડલેશ્ર્વર હેમાંગી સાળીએ આ પગલું ન ભરવું પડત. હિંદુ મહાસભાએ વ્યંઢળોને મુખ્ય પ્રવાહમાં લાવવા અને સમાજ સમક્ષ તેમના વિચારો રજૂ કરવા માટે મને ઉમેદવાર જાહેર કર્યો છે. દેશની દરેક પાર્ટીએ આ પહેલ કરવી પડશે.