દેશમાં કોરોનાથી ફફડાટ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજારથી વધુ નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક ૨૮ થયો

નવીદિલ્હી,દેશમાં કોરોના વાયરસના નવા કેસોથી લોકોમાં ફરી ચિંતા વધારી રહ્યો છે. દેશમાં રોજ બે લાખથી વધુ લોકોની કોરોના તપાસ કરવામાં આવી રહી છે. કોરોનાના નવા કેસનો આંકડો હજુ વધી શકે તેવી સંભાવના છે. દેશમાં છેલ્લા એક મહિનામાં દૈનિક મૃત્યુ પામનારા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે.

દેશમાં છેલ્લા એક મહિનામાં કોરોના સંક્રમણના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંક ભયજનક છે. ગઈકાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૬૯૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી મૃત્યુઆંક ૨૮ થયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા ૬૬,૧૭૦ છે. દેશમાં ગયા મહિને ૨૨ માર્ચે કોરોનાના કુલ ૧૧૩૪ નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત કોરોનાના કારણે મૃત્યુની સંખ્યા ૫ હતી. કોરોનાના નવા કેસો સાથે વધતા મૃત્યુનો આંકડો ચિંતા વધારી રહ્યો છે.

કેન્દ્રની મોદી સરકારથી લઈને રાજ્ય સરકારો ઝડપથી વધી રહેલા કોરોના કેસને લઈને એલર્ટ મોડમાં છે. કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો કે માસ્ક પહેરવા અંગે કેટલીક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. માસ્ક ફરજિયાત બનાવનારા રાજ્યોમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, કેરળનો તેમજ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.