દિલ્હીવાસીઓને મફત વીજળી મળતી રહેશે, કેજરીવાલ સરકારનો નિર્ણય

નવીદિલ્હી, છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં ૨૦૦ યુનિટ સુધીની વીજળી મફતમાં મળી રહી છે. હવે દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે આ યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારની કેબિનેટમાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે વીજળી પરની સબસિડી ચાલુ રહેશે. આ સાથે ગ્રાહકોએ ૪૦૦ યુનિટ સુધી વીજળી વાપરવા માટે માત્ર અડધુ બિલ ચૂકવવું પડશે.

કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા મંત્રી આતિષીએ કહ્યું કે ઉપરાજ્યપાલ ઈચ્છતા હતા કે દિલ્હી સરકારની આ જન કલ્યાણ યોજના બંધ કરવામાં આવે. પરંતુ અમે આવું થવા દીધું નથી. તેમણે કહ્યું કે એક વખત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચન આપે છે, તે કોઈપણ રીતે તેને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું કે જનહિતને યાનમાં રાખીને અમે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં શૂન્ય વીજળી બિલની યોજનાને ૨૦૦ યુનિટ સુધી અને અડધા બિલને ૪૦૦ યુનિટ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હીમાં ઈમાનદાર અને શિક્ષિત લોકોની સરકાર- કેજરીવાલ

સરકારના આ નિર્ણય બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, હું દિલ્હીના લોકોને અભિનંદન આપું છું. તમારી ૨૪ કલાક વીજળી (શૂન્ય પાવર કટ) અને મફત વીજળી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. આમાં મફત વીજળીનો પણ સમાવેશ થાય છે. .

તેમણે કહ્યું કે ઘણા લોકોને વીજળી સબસિડી અંગે શંકા હતી – શું તે આવતા વર્ષે મળશે કે નહીં? તમને જણાવી દઈએ કે આ લોકોએ તેને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પણ તમારા દીકરાએ આ કામ પણ કરાવ્યું. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ૨૪ કલાક વીજળી અને મફત વીજળી ફક્ત દિલ્હી અને પંજાબમાં જ ઉપલબ્ધ છે. દેશના બાકીના ભાગોમાં લાંબા સમય સુધી વીજ કાપ છે અને હજારો રૂપિયાના વીજ બિલ ચૂકવવા પડે છે. કારણ કે દિલ્હીમાં ઈમાનદાર અને શિક્ષિત લોકોની સરકાર છે.