દાહોદ પાલિકા પ્રમુખના વિરોધ માટે પાલિકા સભ્યોમાં જુથને લઈ નગરજનોની પ્રાથમીક સુવિધાથી વંચિત

દાહોદ નગર પાલિકા મા પ્રમુખ સામે બાંયો ચાડાવી નગર સેવકો અલગ જુથ બનાવી પાલીકા પ્રમુખ નો વિરોઘ કરી રહ્યા છે અને નગર ની જનતા પ્રાથમિક સુવિધા થી વંચિત છે.

જ્યારે બીજી તરફ દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા માટેની કાર્યવાહી કરવા બાબતે દાહોદ નગરપાલિકા કારોબારી ચેરમેન સહિત કાઉન્સીલરો દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારે બીજી તરફ દાહોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાંય સમયથી પાલિકા પ્રમુખની કામગીરી પર વાંધો ઉઠાવતાં પાલિકાના અંદરો અંદરના વિખવાદને પગલે અંદરખાને અવિશ્ર્વાસની દરખાસ્તોનો દોર પણ ચાલી રહ્યો હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. સમગ્ર મામલે દાહોદ પાલિકા પ્રમુખની કામગીરી કોઈના ગળે ન ઉતરતા દાહોદ શહેરવાસીઓની સાથે સાથે ખુદ પાલિકાના સત્તાધિશોમાં પણ છુપા ગણગણાટ વચ્ચે છુપો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પાલિકા પ્રમુખની કામગીરી સામે બળવાના એંધાણો સર્જાશે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

દાહોદ નગરપાલિકા કારોબારી ચેરમેન સહિત પાલિકાના કાઉન્સીલરો દ્વારા આજરોજ દાહોદ જીલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ નગરપાલિકાની છેલ્લા સામાન્ય સભા તા.07.03.2024ના રોજ મળી હતી. નગરની પ્રજાના હિત માટે તથા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટોનો ઉપયોગ તથા વહીવટી કામો માટે સામાન્ય સભા અતિઆવશ્યક છે. પરંતુ દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા ચાર માસ અગાઉ તા.07.03.2024ના રોજ મળી હતી. સામાન્ય સભા ન બોલાવવાના કારણે સામાન્ય પ્રજાને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો આવેદનપત્રમાં જણાવ્યાં હતા. જેમાં ભુગર્ભ ગટરના 10થી 15 ટકા કનેક્શન બાકી છે જે તાત્કાલિક કરવા જરૂરી છે.

કર્મચારી-સફાઈ કામદારાના પેન્ડીંગ પ્રશ્ર્નોની ચર્ચા અને નિર્ણય કરવા બાબત, હાઉસ ટેક્સ તથા અન્ય વેરાને લગતા પ્રશ્ર્નો અંગે, નગરના વિવિધ વિસ્તારોમાં મંજુર થયેલા રસ્તાઓની કામગીરી કરવા તથા જરૂરીયાત મુજબના નવા રસ્તાના આયોજન અંગે, ચોમાસાની ઋતુમાં નગરની પ્રજાની ચિંતા માટે આરોગ્ય બાબતના કામો, વરસાદી પાણીના નીકાલ તથા સફાઈની બાબતોના કામો અંગે, નગરના તમામ વિસ્તારોમાં પુરા દબાણથી પુરતુ પાણી મળી રહે તેના આયોજન અંગે અને દાહોદની પ્રજાને નગરપાલિકાની ગેરહાજરીના કારણે મુશ્કેલી વેઠવી ન પડે તે બાબતે દાહોદ જીલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. દાહોદ નગરપાલિકાના અંદરો અંદરના વિખવાદને પગલે દાહોદનો વિકાસ ક્યાંકને ક્યાંક રૂંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પ્રજાની સુખાકારી માટે પાલિકા પ્રમુખની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. આવનાર દિવસોમાં આ નારાજગી કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તેની પર સૌ કોઈની નજર છે.