દાહોદમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર પ્રવૃતિમાં સામેલ ઈસમ વિરૂદ્ધ ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત ગેરયકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃતિમાં સામેલ ઈસમ વિરૂધ્ધ પોલીસ મથકે ગુનો નોંધાંયા બાદ ઈસમને પાસા હેઠળ ધકેલાયાનો પ્રથમ કેસ બનવા પામ્યો છે. ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો વિરૂધ્ધ દાહોદ જીલ્લા પોલીસ વડાની સખ્તાઈ કાર્યવાહીને પગલે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમોમાં ફફડાટ સાથે આ કાર્યવાહીને પગલે ચકચાર મચી જવા પામી છે.

દાહોદ જીલ્લામાં ગુન્હાહીત પ્રવૃતિઓ પર લગામ કસવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડા ર્ડા. રાજદીપસિંહ ઝાલા દ્વારા જનહિતમાં અનેક પગલાઓ લઈ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાં છે. ત્યારે તેઓના કાર્યકાળમાં પ્રથમ વખત દાહોદમાં એક ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા ઈસમને પાસા હેઠળ ધકેલી દેવાની કાર્યવાહીને પગલે દાહોદ જીલ્લામાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પ્રોહીના બનાવોમાં તો અનેક ઈસમોને પાસા હેઠળ ધકેલાયા હોવાના કિસ્સાઓ તો સાંભળ્યાં હતા. પરંતુ પ્રથમવાર ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમ વિરૂધ્ધ દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળે દાહોદ એલ.સી.બી. પોલીસે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતો રાજુભાઈ ઉદેસીંગભાઈ સાંસી (રહે. મારવાડી ચાલ, દાહોદ, તા.જી.દાહોદ)ની વિરૂધ્ધ દાહોદ જીલ્લા કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતાં દાહોદ એલ.સી.બી. પોલીસે રાજુભાઈની અટકાયત સકરી તેને પાસા હેઠળ ભુજ જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે. આ રાજુભાઈ ઉદેસીંગભાઈ સાંસી વિરૂધ્ધ થોડા દિવસો પહેલા ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતો હોવાની ફરિયાદો સાથે લોકોને વ્યાજે નાણાં આપી તેઓની પાસેથી ઉંચા વ્યાજદરે નાણાંની વસુલાત કરી પીડીતોને હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાંવવા પામી હતી. ત્યારે આ મામલે દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી રાજુભાઈ ઉદેસીંગભાઈ સાંસીની અટકાયત કરવામાં આવી હતી. દાહોદ જીલ્લામાં ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારની પ્રવૃતિ કરતાં ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નાગરિકોને વ્યાજખોરીના ચંગુલમાંથી છોડવવા સારૂ ઝુંબેશ શરૂ કરી લોક દરબારો યોજી લોક જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા જાહેરાતો કરી તેમજ વિવિધ માધ્યમો દ્વારા ગેરકાયદેસર રીતે નાણાં ધીરધાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સારૂ અભિયાનના શરૂંઆત કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યવાહીને પગલે ખરેખર હવે વ્યાજખોરોના ખપ્પરમાં ધકેલાયેલા પીડીતોને ખરા અર્થમાં ન્યાય મળશે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.