દાહોદમાં પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓની મદદે આવેલા આદિવાસી પરિવાર તેમજ કસુંમોર બાવસી વનરાઈ ગૃપે માનવતાની મહેક પ્રસરાવી

દાહોદ,દાહોદમાં 81 જેટલા પરીક્ષા કેન્દ્રો પર યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા આવેલા ઉમેદવારોને આદિવાસી પરિવાર તેમજ કસુંમોર બાવસી વનરાઈ ગૃપ જેવા સામાજિક સંગઠને માનવતાનો અભિગમ અપનાવી તેમજ પરીક્ષા આપવા આવતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાત્રિ રોકાણ તેમજ રહેવા જમવા તથા પોતાના ખર્ચે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી માનવતા મહેકાવી હતી.

જુનિયર ક્લાર્ક, ગૌણ સેવા પસંદગી, તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાનું ભૂતકાળમાં પ્રશ્ર્નપત્ર લીક થતા એક તરફ ઉમેદવારોની તૈયારીઓ માથે પડી હતી. તો બીજી તરફ પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને અવરજવર તેમજ રહેવા જમવા માટે બારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વખતે વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રે આજરોજ યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈપણ કચાસ ન રહી જાય તે માટે પૂરતી કાળજી રાખી હતી. તો સાથે સાથે સામાજિક સંગઠનો એ પણ સમાજ પ્રત્યે માનવતાની દ્રષ્ટિએ અભીગમ અપનાવી બહારગામ થી પરીક્ષા આપવા આવતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની હાલાકી નો સામનો કરવો ન પડે તે માટે અકલ્પનીય તેમ જ આ ભૂતપૂર્વ ગણી શકાય તેવો અભિગમ અપનાવ્યું હતું. જેમાં આદિવાસી પરિવાર તેમજ કસુંમોર બાવસી વનરાઈ ગૃપ જેવા સામાજિક સંગઠને પરીક્ષાર્થીઓને રહેવા જમવા તેમજ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનું બીડું ઉપાડ્યું હતું. તેઓએ પરીક્ષાના બે દિવસ પૂર્વે જ સોશિયલ મીડિયા પર મોબાઈલ નંબરો સાથે પરીક્ષા આપવા આવતા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવ્યું હતું. તેઓએ ઉમેદવારોને રહેવા જમવા માટે દાહોદના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ તેમજ આદિવાસી ભવનને બુક કરાવ્યો હતો. આ સામાજિક સંગઠનના હોદ્દેદારોએ ગતરોજ રાતથી જ બસ સ્ટેશન પર ગોઠવાઈ ગયા હતા. જ્યાં છોટાઉદેપુર, વડોદરા,આણંદ ખેડા, અમદાવાદ, સાબરકાંઠા અરવલ્લી, ગાંધીનગર, જિલ્લામાંથી આવેલા 150 થી વધુ ઉમેદવારોને બસ સ્ટેશન થી નક્કી કરેલા સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચાડ્યા હતા. તેમજ તેઓને જમવા માટે તેમજ સુવા માટે પથારીઓ ગોઠવી દેવામાં આવી હતી. અને આજરોજ સવારે તમામ ઉમેદવારોને સવારે ચા-નાસ્તો કરાવી પરીક્ષાના નિયત કેન્દ્ર પર સમય કરતા પહેલા દાહોદ થી છાપરી ઉસરવાણ, ખરેડી, ઉકરડી, દેલસર, જાલત નગરાળા અને દાહોદ શહેરના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર પોતાના ખર્ચે વાહનો દ્વારા પહોંચાડ્યા હતા. તેમજ અન્ય તાલુકા કેન્દ્રો પર પરીક્ષા આપવા જતા ઉમેદવારોને બસમાં બેસાડ્યા હતા. આમ આ સંગઠનના કમલેશભાઈ ડામોર, સુનિલભાઈ માવી, રાજેશભાઈ વસાવે, મહેશભાઈ ડામોર, શૈલેષભાઈ ડામોર, તેમજ બાબુભાઈ નિનામા, નિલેશ ગોહિલ,શંકર બિલવાલ,અશોક વસૈયા, સતીશ ગણવા, હરીશ ભૂરા, રમણ બિલવાલ, છગનભાઈ સુવર, સવસિંગભાઈ ગુંદિય, રાકેશભાઈ, કુલ્ડીપભાઈ અને મહિલા સંગઠન માં સવિતાબેન બારીયા, ગીતાબેન ડામોર, નાઓએ ઉમેદવારો પ્રત્યે માનવતાનું અભિગમ અપનાવી અકલ્પનીય અને અદભુત સેવા પૂરી પાડી હતી. જે જોઈને પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ આ સંગઠનનો ભારોભાર આભાર માન્યો હતો. તેમજ તેમની આ અદભુત કામગીરીને સહર્ષ બિરદાવી હતી. જોકે આ સામાજિક સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આભાર કરવાની જગ્યાએ ભવિષ્યમાં કોઈપણ ત્રણ જરૂરિયાતમંદોને મદદ કરી માનવતાનો અભિગમ અપનાવજો તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં આખી રાત ઉજાગરો કરી સંગઠનના હોદ્દેદારોએ માનવ સેવા હી પ્રભુ સેવા છે. તેવી ઉક્તિને સાર્થક કરી માનવતાના અભિગમની ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો હતો.