દાહોદ જીલ્લામાં બે માર્ગ અકસ્માતના બનાવમાં બે વ્યકિતના મોત : મહિલાને ઈજાઓ

દાહોદ,દાહોદ જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં વિતેલા ચોવિસ કલાકની અંદર વધુ બે માર્ગ અકસ્માતોના બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જ્યારે એક મહિલાને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના રામપુર ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.29મી એપ્રિલના રોજ દેવગઢ બારીઆના ઝાબીયા ગામે રોયણ ફળિયામાં રહેતાં ગણપતભાઈ બળવતભાઈ બારીયા ધાનપુરના કળમ ફળિયામાં રહેતાં સરદારસિંહ રણસિંહ બારીયાની મોટરસાઈકલ લઈ સરદારસિંહના ઘરે જઈ રહ્યાં હતા. તે દરમ્યાન રસ્તામાં રામપુરા ગામે ગણપતભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી જેને પગલે ગણપતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે બેબીબેન ગણપતભાઈ બારીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ લીમખેડાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.29મી એપ્રિલના રોજ અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ કેતનભાઈ મગનભાઈ ડાયરા (રહે.પીપળી, ઉચાકળમ ફળિયું, તા. લીમખેડા)ની મોટરસાઈકલને અડફેટમાં લેતાં કેતનભાઈ તથા મોટરસાઈકલની પાછળ બેઠેલ અનિતાબેન બંન્ને વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં જેને પગલે કેતનભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અનિતાબેનને પણ શરીરે સામાન્ય ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે બાબુભાઈ કોદરભાઈ ડાયરાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.