દાહોદ જીલ્લામાં બે અકસ્માત બનાવમાં 3 વ્યકિતઓના મોત

દાહોદ, દાહોદ જીલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા નગરમાં બનવા પામ્યો હતો. જેમાં ગત તા.28મી એપ્રિલના રોજ ગરબાડા નગરમાંથી પસાર થતાં અલીરાજપુર નેશનલ હાઈળે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી રસ્તે ચાલતાં જતાં 55 વર્ષિય બદુભાઈ વાલાભાઈ બામણીયા (રહે. ગરબાડા, ભામાતળાઈ કાળીયા ફળિયા, તા. જી. દાહોદ) ને અડફેટમાં લેતાં બદુભાઈ રોડ ઉપર પટકાયાં હતાં જેને પગલે તેઓને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સુરેશભાઈ બદુભાઈ બામણીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના પીપેરો ગામે ધાનપુર-લીમખેડા મેન રોડ ઉપર બનવા પામ્યો હતો. જેમાં ગત તા.28મી એપ્રિલના રોજ દિનેશભાઈ રમેશભાઈ રાઠોડ (રહે. પીપેરો, કાછલા ફળિયા, તા. ધાનપુર, જી. દાહોદ)ના પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ઉપરોક્ત સ્થળ પરથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ત્યાંથી પસાર થતી અન્ય એક મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં બંન્ને મોટરસાઈકલ પર સવાર કુલ ત્રણ વ્યક્તિઓ પૈકી જેમાં મહેન્દ્રભાઈ ગમીરભાઈ બારીયા (રહે. દુધામલી, નિચવાસ ફળિયું, તા. ધાનપુર, જી. દાહોદ) અને અકસ્માત સર્જનાર દિનેશભાઈને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં બંન્નેના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક અર્જુનભાઈ કેશરસિંહ બારીયા (રહે. વાખસીયા, નિશાળ ફળિયું, તા. ધાનપુર, જી. દાહોદ) નાને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે ગમીરભાઈ ચંન્દ્રસિંહ બારીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.