
રાયપુર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ૧૪ જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થવાની છે અને આવતા મહિને છત્તીસગઢના સાત જિલ્લામાંથી પસાર થશે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ધનંજય ઠાકુરે જણાવ્યું હતું કે યાત્રા ૧૫ રાજ્યોના ૧૧૦ જિલ્લામાંથી પસાર થઈને ૬૭ દિવસમાં ૬,૭૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપીને મુંબઈમાં સમાપ્ત થશે. પાર્ટીના જણાવ્યા અનુસાર, લોક્સભા ચૂંટણી પહેલા આયોજિત આ યાત્રામાં લગભગ ૧૦૦ લોક્સભા સીટો અને ૩૩૭ વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.
ધનંજય ઠાકુરે જણાવ્યું હતું કે આ યાત્રા ૧૬-૧૭ ફેબ્રુઆરી પછી છત્તીસગઢ પહોંચવાની અપેક્ષા છે અને તે પાંચ દિવસમાં રાજ્યના સાત જિલ્લાઓને આવરી લેશે, જ્યાં આદિવાસી વસ્તી લગભગ ૩૨ ટકા છે. તેમણે કહ્યું કે પાર્ટી દેશની એક્તા, અખંડિતતા, બંધારણ અને લોકશાહીની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ‘સત્યાગ્રહ’ને લોકોના અધિકારો માટે લડવાનું એક મજબૂત હથિયાર માને છે અને ‘ભારત જોડો ન્યાય પદયાત્રા’ આઝાદી પછી દેશનો સૌથી મોટો અને પરિવર્તનકારી સત્યાગ્રહ સાબિત થશે.
રાજકીય નિષ્ણાતોના મતે, આ મુલાકાત લોક્સભાની ચૂંટણી પહેલા છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનું મનોબળ વધારશે કારણ કે રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. છત્તીસગઢમાં ભાજપ ૯૦ સભ્યોની વિધાનસભામાં ૫૪ બેઠકો જીતીને સત્તામાં પરત ફર્યું છે, જ્યારે કોંગ્રેસે ૩૫ બેઠકો જીતી છે, જે ૨૦૧૮ માં ૬૮ હતી. ગોંડવાના ગણતંત્ર પાર્ટી એક બેઠક જીતવામાં સફળ રહી હતી.
અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે ભારત જોડો ન્યાય યાત્રા રાજનીતિ માટે એટલી જ પરિવર્તનકારી સાબિત થશે જેટલી ગાંધીજીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં છત્તીસગઢમાં ભાજપે ૧૧માંથી ૯ સીટો જીતી હતી, બાકીની સીટો બસ્તર અને કોરબા કોંગ્રેસને મળી હતી.