
મહારાષ્ટ્રમાં લોક્સભા ચૂંટણી બાદ ફરી એકવાર રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે. વિધાન પરિષદની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને શિવસેના યુબીટી વચ્ચેનો વિવાદ નોંધપાત્ર રીતે વધી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઠાકરેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસને માતોશ્રી તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. આ રાજકીય ઘટનાક્રમ બાદ રાજ્યમાં અટકળોનો દોર શરૂ થયો છે.
વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં ૪ વિધાનસભા પરિષદની બેઠકો માટે ૨૬ જૂને મતદાન થવાનું છે. થોડા દિવસો પહેલા, કોંગ્રેસ દ્વારા એક બેઠક યોજવાની દરખાસ્ત કરવામાં આવી હતી કે કઈ એમવીએ પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડશે, પરંતુ બેઠક પહેલા જ, ઠાકરેએ વિધાન પરિષદની ચારેય બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા. કોંગ્રેસ નાસિક શિક્ષક અને કોંકણ ગ્રેજ્યુએટની બેઠક પરથી ૨ વિધાન પરિષદની બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.
આજે સવારથી મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ઉદ્ધવ ઠાકરે તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી નથી. ઉદ્ધવ ઠાકરે નાના પટોલેનો ફોન પણ ઉપાડી રહ્યા નથી. રસપ્રદ વાત એ છે કે, આજે બપોરે ઉદ્ધવ ઠાકરે અમરાવતીથી કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદ બળવંત વાનખેડે અને પૂર્વ મંત્રી યશોમતી ઠાકુરને માતોશ્રી પર મળ્યા હતા.ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના જુનિયર નેતાઓને મળી રહ્યા છે પરંતુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનો ફોન ઉપાડતા નથી.