ચીનથી આયાત ૧.૪ અબજ ડોલરથી વધીને ૧૨.૧ અબજ ડોલર થઈ, ક્યાં ગઈ આત્મનિર્ભરતા: કોંગ્રેસ

  • ચીનમાંથી છત્રીઓ અને મ્યુઝિકલ આઇટેમોની આયાતના લીધે ભારતના ઉદ્યોગોને ગ્રહણ લાગી રહ્યુ છે.

કોંગ્રેસે કેન્દ્ર સરકારના આત્મનિર્ભરતાના દાવાઓનો છેદ ઉડાડતા કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતું કે ચીનની નિરંકુશ આયાતના લીધે ભારતીય ઉદ્યોગો ત્રસ્ત છે તો કેન્દ્ર સરકાર આત્મનિર્ભરતાના ગાણા ગાવવામાં મસ્ત છે. આ મુદ્દે કેન્દ્રનું ભેદી મૌન ચીનની આયાત જેટલું જ ભયજનક છે. સરકાર આયાતોને અંકુશમાં લાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.

જીટીઆરઆઈએના રિપોર્ટમાં ટિપ્પણી કરવામાં આવી છે કે ચીનમાંથી છત્રીઓ અને મ્યુઝિકલ આઇટેમોની આયાતના લીધે ભારતના ઉદ્યોગોને ગ્રહણ લાગી રહ્યુ છે. તેમા પણ ખાસ કરીને ભારતના મયમ ઉદ્યોગો પર વધુ અસર પડી રહી છે. દિવસ વીતવાની સાથે કથિત આત્મનિર્ભર ભારતના ચાઇનીઝ આયાત પર વધતાં જતા અવલંબનને લઈને નવાનવા સમાચાર આવી રહ્યા છે. ભારતમાં ઉપયોગમાં લેવાતી ૯૬ ટકા છત્રીઓની આયાત ચીનથી થાય છે અને ભારતમાં વેચાતા ૫૦ ટકાથી વધુ મ્યુઝિકલ ઇન્સ્ટુરમેન્ટ્સ ચીનમાં બનેલા છે.

ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવી મહત્ત્વની ઇન્ડસ્ટ્રીઝમાં ભારતમાંથી ચીનની આયાત ૨૦૧૬-૧૭ના ૧.૪ અબજ ડોલરથી નવ ગણી વધીને ૨૦૨૩-૨૪માં ૧૨.૧ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. ભારતના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ અને ડ્રગ કમ્પોનન્ટ્સની આયાત આ સમયગાળઆ દરમિયાન ૧.૬ અબજ ડોલરથી વધીને ૩.૩ અબજ ડોલર થઈ ગઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.

સમગ્ર વિશ્ર્વની સરકારો નિરંકુશ ચીની આયાતને અંકુશમાં લેવા તેના પરના દરો વધારી રહી છે અને એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરી રહી છે ત્યારે ભારતીય અર્થતંત્રમાં તેનાથી વિપરીત ચીન પરનું અવલંબન વધી રહ્યુ છે. ચીન પર વધુ પડતો મદ્દાર રાખવાના બદલે વિશ્ર્વની સરકારો ડીકપલિંગની થિયરી અપનાવી રહી છે અને ચીન પરનું અવલંબન બને તેટલું ઘટાડવા પ્રયત્નશીલ છે. તેની સામે ભારત સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના ડર છતાં ટિકટોક જેવી ચાઇનીઝ એપ જેવા છૂટાછવાયા પગલાં લઈને સંતોષ માની રહી છે.

તેમણે જણાવ્યું હતું કે ચીનની આયાતના લીધે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૩ ભારતીય સ્ટીલ ઉદ્યોગના ૩૦થી ૩૫ ટકા એમએસએમઇ બંધ થઈ ગયા હતા. આ બધા પીએમના જ ગૃહરાજ્ય ગુજરાતના હતા. તે નોંધનીય છે કે ગુજરાત દેશના એમએસએમઇ સેક્ટરમાં ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. ફક્ત સ્ટીલ જ નહી સ્થાનિક ઉદ્યોગ પણ તેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. ભારતનો ઉત્પાદન આધાર જીડીપીના પ્રમાણમાં સંકોચાઈ રહ્યો છે. તે છેલ્લા દાયકામાં ૧૬.૫ ટકાથી ઘટીને ૧૪.૫ ટકા થયો છે.

વર્લ્ડ બેક્ધે તેના તાજેતરમાં ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં જણાવ્યું હતું કે શ્રમલક્ષી ઉત્પાદનનો ફાળો ઘટી રહ્યો છે. ૨૦૦૨માં વૈશ્ર્વિક નિકાસમાં ભારતના શ્રમલક્ષી ક્ષેત્રો જેવા કે એપેરલ,લેધર, ટેક્સટાઇલ્સનો ફાળો ૨૦૦૨થી ૨૦૧૩માં ૦.૯ ટકા વધી ૪.૫ ટકાની ટોચે પહોંચ્યો હતો, તેના પછી તે ૨૦૨૨માં ઘટીને ૩.૫ ટકા થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્ર્વમાં ઉત્પાદનને અગત્યતા આપવામાં આવી રહી છે અને એઆઇ અને ક્લીન એનર્જી માટે હાર્ડવેર ઉત્પાદન મહત્ત્વના ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. તેની સામે ભારત ઉત્પાદનમાં વધારો કરવામાં અસમર્થ નીવડયુ છે.

તેના બદલે આપણી વર્તમાન ઉત્પાદન ક્ષમતાને પણ ચીનની આયાત અસર કરી રહી છે.છેલ્લા કેટલાક સમયથી ચીનથી ભારતમાં સ્ટીલની આયાતમાં નોંધપાત્ર વધારો થતા ભારતીય સ્ટીલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ચીનની વધતી જતી આયાત સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોના માજનને અસર કરી રહી છે. જેના પગલે સ્ટીલ કંપનીઓની બેલેન્સશીટ પર પણ અસર થવા પામી છે.

ચીન વૈશ્ર્વિક સ્ટીલ માર્કેટમાં સૌથી મોટું ખેલાડી છે, પરંતુ તે ૨૦૨૦થી નબળી માંગનો સામનો કરી રહ્યું છે. ત્યા પ્રોપર્ટી માર્કેટની કટોકટીએ સ્થિતિ વધુ ખરાબ બનાવી છે. તેના કારણે સ્ટીલના ભાવ અનેક વર્ષોના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે.ચીનમાં સ્ટીલ ઉદ્યોગને રિયલ એસ્ટેટ ક્ષેત્રની કટોકટીથી ખરાબ રીતે ફટકો પડયો છે. આ સાથે ચીનમાં આથક પ્રવૃતિઓ નબળી પડી રહી છે ત્યારે મુખ્ય કાચો માલ સ્ટીલનો સ્ટોક વધી રહ્યો છે અને ખાસ કરીને ઉત્પાદનનો મોટો હિસ્સો વેચાયા વગર પડી રહ્યો છે. જેનાં કારણે ચીન વિશ્ર્વભરમાં સ્ટીલની નિકાસ વધારવા માટે સક્રિય બન્યું છે. જેના પગલે આગામી સમયમાં ચીનની સ્ટીલની નિકાસ ૮ વર્ષની ટોચે પહોંચી જવાની અપેક્ષા ત્યાંના સ્થાનિક વર્તુળો કરી રહ્યા છે.