ચીનને ભારતનો કડક સંદેશ – આપણે ગમે તેટલું કહીએ, અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે.

નવીદિલ્હી, ભારતના વિદેશ મંત્રાલયે અરુણાચલ મુદ્દે ચીનને જોરદાર જવાબ આપ્યો છે. ભારતે પાડોશી દેશને સ્પષ્ટ કરી દીધું છે કે ચીન તેના પાયાવિહોણા દાવાઓનું ગમે તેટલું પુનરાવર્તન કરે, તે ભારતના વલણને બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ તેનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને હંમેશા રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો ચાલુ રાખવા અંગેના પ્રશ્ર્નના જવાબમાં આ વાત કહી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અરુણાચલ પ્રદેશના મુદ્દે અમારું વલણ ઘણી વખત સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હાલમાં જ અમે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. ચીન તેના ’પાયાવિહોણા દાવાઓ’નું ગમે તેટલું પુનરાવર્તન કરે, તે અમારું વલણ બદલવાનું નથી. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ પર ચીનના વારંવારના દાવાને ’વાહિયાત’ ગણાવીને નકારી કાઢ્યા હતા. જયશંકરે કહ્યું હતું કે આ સરહદી રાજ્ય ભારતનો કુદરતી ભાગ છે. અરુણાચલ પર ચીનના વારંવારના દાવાઓ અને રાજ્યમાં ભારતીય નેતાઓની મુલાકાતના ચીનના વિરોધ પર તેમની જાહેર ટિપ્પણીમાં જયશંકરે કહ્યું કે આ કોઈ નવો મુદ્દો નથી.

ચીનના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો. તેના પર ભારતે કહ્યું હતું કે આ સંબંધમાં પાયાવિહોણી દલીલોનું પુનરાવર્તન કરવાથી આવા દાવાને કોઈ માન્યતા મળતી નથી. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. તેના લોકોને અમારા વિકાસ કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ મળતો રહેશે.