ચીન દલાઈ લામા સાથે બેકડોર વાતચીત કરી રહ્યું છે: તિબેટ ભારતમાં પણ તેના આગામી આધ્યાત્મિક નેતાને શોધી શકે છે. : દલાઇ લામા

ધર્મશાલા, ચીને તાજેતરમાં તિબેટના ધર્મગુરુ દલાઈ લામાનો સંપર્ક કર્યો હતો. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, દલાઈ લામાએ લગભગ એક અઠવાડિયા પહેલા કહ્યું હતું કે ચીનના નેતાઓએ તેમનો સંપર્ક કર્યો હતો. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે આવું ક્યારે બન્યું અને ચીન સાથે તેમની શું વાતચીત થઈ. દલાઈ લામાએ કહ્યું કે તેઓ હંમેશા વાતચીત માટે તૈયાર છે.

દલાઈ લામાએ ભારતમાં રહીને તિબેટની સરકાર બનાવી હતી. જેને તિબેટ ગર્વમેન્ટ ઇન એક્ઝાઇલ કહેવામાં આવે છે. તાજેતરમાં જ આ સરકારના મંત્રી નોગન ડોલ્મા જાપાનની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે એ વાતની પુષ્ટિ કરી હતી કે ચીન અનૌપચારિક રીતે દલાઈ લામા સાથે બેકડોર વાતચીત કરી રહ્યું છે અને આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પણ છે. દલાઈ લામાના રહેતાં તિબેટની સમસ્યાનો જે પણ ઉકેલ શોધે તેના પર આપણે બધા સહમત થઈશું.

આ પહેલા તેમના જન્મદિવસના અવસર પર દલાઈ લામાએ કહ્યું હતું – ચીન હવે બદલાઈ રહ્યું છે અને હું તેમની સાથે વાત કરવા તૈયાર છું. જે લોકો મને મળવા માગે છે તેઓ તિબેટની સમસ્યા ઉકેલવા આવી શકે છે. અમને સંપૂર્ણ સ્વતંત્રતા જોઈતી નથી. ઘણા વર્ષો પહેલા અમે નક્કી કર્યું હતું કે અમે ચીનનો હિસ્સો રહીશું.હવે ચીનને પણ સમજાઈ ગયું છે કે તિબેટીયન લોકોની ભાવના ખૂબ જ મજબૂત છે. તેથી હવે તેઓ તેમની સાથે વ્યવહાર કરવા મારી પાસે આવી રહ્યા છે.

ચીનમાં વંશીય રાજનીતિના નિષ્ણાત બેરી સોટમેને સમગ્ર મુદ્દા પર કહ્યું- દલાઈ લામા હવે તેમની ઉંમરને કારણે અલગ-અલગ દેશોની યાત્રા કરી શકશે નહીં. આવી સ્થિતિમાં બંને પક્ષો માટે વાતચીત કરવી જરૂરી બની ગઈ છે. તિબેટની સરકાર માટે દલાઈ લામા તેમની સૌથી મોટી શક્તિ છે, જે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપે છે.

બીજી તરફ, બેઇજિંગ માટે આ યોગ્ય સમય છે કારણ કે અન્ય વૈશ્ર્વિક મુદ્દાઓને કારણે મોટાભાગના દેશોનું ધ્યાન તિબેટ પરથી હટાવવામાં આવ્યું છે. તિબેટ લાંબા સમયથી પશ્ર્ચિમી દેશોના એજન્ડામાં નથી. નિષ્ણાતોના મતે, ચીન જાણે છે કે પશ્ર્ચિમી દેશો તિબેટ માટે જે કરી રહ્યા છે તેનું મોટું કારણ દલાઈ લામા છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં તિબેટમાં તેમની દખલગીરી ઓછી થઈ શકે છે. સોટમેને કહ્યું- જો ચીન તેના પક્ષમાં વાટાઘાટો ઈચ્છે છે તો તેમના પર દબાણ લાવવાનો આ યોગ્ય સમય છે.

૧૯૯૫માં, જ્યારે દલાઈ લામાએ બીજા સર્વોચ્ચ ધાર્મિક નેતા પંચેન લામાની પસંદગી કરી, ત્યારે ચીને તેમને જેલમાં ધકેલી દીધા. માર્ચ ૧૯૫૯માં, ચીન સાથેના તણાવ વચ્ચે, દલાઈ લામા તિબેટમાંથી ભાગી ગયા અને સૈનિકના વેશમાં ભારત આવ્યા. તેઓ છેલ્લા ૬૪ વર્ષથી હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રહે છે. ચીન સતત તેમને અલગતાવાદી અને તિબેટ માટે ખતરો ગણાવે છે. ૨૦૧૧માં, ચીનના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તે ફક્ત દલાઈ લામા અને પંચેન લામાને જ માન્યતા આપશે જેને ચીની સરકાર મંજૂરી આપશે.

જોકે, દલાઈ લામાએ કહ્યું હતું કે તિબેટ ભારતમાં પણ તેના આગામી આધ્યાત્મિક નેતાને શોધી શકે છે. ૨૦૦૨ થી ૨૦૧૦ સુધી, દલાઈ લામા અને ચીનની સરકારના પ્રતિનિધિઓએ વાટાઘાટોના નવ રાઉન્ડ યોજ્યા, જેના કેટલાક પરિણામો આવ્યા. જોકે ત્યારપછી બંને પક્ષો વચ્ચે કોઈ સત્તાવાર બેઠક થઈ નથી.