અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ પણ રાજ્યમાં રાજકીય માહોલ જામેલો છે. કારણકે, આગામી વર્ષે એટલેકે, વર્ષ ૨૦૨૪માં લોક્સભાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ભાજપ તરફથી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે દાવેદારી કરશે. ત્યારે બીજી તરફ ભારત જોડો યાત્રા થકી ફરી એકવાર રાહુલ ગાંધી સુશુપ્ત કોંગ્રેસમાં પ્રાણ ફુંકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં ગુજરાતમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો માહોલ જામ્યો છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરવામાં આવ્યાં છે.
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ સામે ચાબખા મારીને કોંગ્રેસ ગૃહ રાજ્યમંત્રી હાર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડીયાએ કહ્યુંકે, ગુજરાતમાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઠળી રહી છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે મોટું જોખમ ઉભું થયું છે. રાજ્યમાં છેલ્લા ૮ વર્ષ માં નાની બાળકીઓ સાથે દુષ્કર્મના ૩૯૮% બનાવો બન્યા છે. જેમાં ૧૪૫૨૨ જેવી બાળકીઓ સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં આજે પણ ૧૨૬૪૭ કેસ પેન્ડિંગ છે . આવા કેસોમાં ગુજરાત રાજ્યમાં માત્ર ૨૩૧ કેસ માં જ આરોપીને સજા મળી છે.
પાર્થિવરાજ સિંહ કઠવાડીયાએ વધુમાં જણાવ્યુંકે, વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૧ વચ્ચે ૨૬૭ કેસ માં ગુનેગારો ને જેલ ભેગા કરવામાં આવ્યા છે. નિર્ભયા અને બેટી બચાવો ને નામે ફંડ આપે પરંતુ દીકરીઓ ને ન્યાય આપવામાં ગુજરાત રાજ્ય ની સરકાર નિષ્ફળ ગઈ છે.
૨૦૨૦ ૨૦૨૧ પોસ્કો નાં ૨૩૪૫ કેસ રજીસ્ટર થયા છે. ૨૦૨૧-૨૨ માં પોસ્કો નાં ૨૪૪૩ કેસ રજીસ્ટર થયા છે. વર્ષ ૨૦૨૦ થી વર્ષ ૨૦૨૧ નાં વર્ષ માં ૪૭૮૨ સામે ૧૦૦ કેસ માં સજા મળી છે. પોલીસ તંત્ર કેસ સાબિત કરવામાં નિષ્ફળ થયું છે. સરકાર દ્વારા આવા ગુનેગારોને છાવરવવામાં આવ્યા છે. ગુજરાતનું ગૃહ રાજ્ય વિભાગ આ અંગે જવાબ આપે. ગુજરાત ગૃહ રાજ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. વર્ષ ૨૦૧૨ માં પૉસ્કો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો જેથી બાળકીઓ સાથે કોઈ પણ ખરાબ કૃત્ય ના થાય.