લાઠીથી સુરત આવતી મારૂતિ નંદન ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે મહિલા સાથે કુકર્મ કર્યું : ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ.

સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચાર્યાની ઘટના સામે આવી છે. લાઠીથી સુરત આવતી મારૂતિ નંદન ટ્રાવિલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચાર્યું હતું. પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચાર્યું હતું. સુરતના પર્વત પાટિયા વિસ્તારની 33 વર્ષની મહિલા દુષ્કર્મનો ભોગ બની છે. મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ACP વિપુલ પટેલે જણાવ્યું હતું કે, આ બનાવમાં હકિકત એવી છે કે, ભોગ બનનાર પોતે અમરેલીના લાઠીમાં પોતાની બહેનના ઘરે ગયા હતા. ત્યાંથી મારૂતિ નંદન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસના ડ્રાઈવરે રાતે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી તેની મરજી વિરૂદ્ધ શરીર સુખ માણ્યું હતું. કોઈને આ બનાવ વિશે જણાવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી ભોગ બનનારે કાપોદ્રા પોલીસ ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ લીધી છે. હાલ આ ગુનાની તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે. ભોગ બનનાર 14 સપ્ટેમ્બરે તેની લાઠી તેની બહેનના ઘરે ગયા હતા. ત્યારે ડ્રાઈવર સાથે સંપર્કમાં આવ્યા હતા. મોબાઈલ નંબરથી સંપર્ક કરવા ડ્રાઈવર તેને દબાણ કરતો હતો. પરત ફરતી વખતે ભોગ બનનાર આ જ બસમાં આવ્યા હતા. ત્યારે તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બન્યો છે.

અગાઉ 17 વર્ષની સગીરા પર 3 સંતાનના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું

સુરતના અઠવા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 17 વર્ષીય પુત્રીને ત્રણ સંતાનના પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો. પોલીસે સગીરાનું પગેરૂ દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરણિત પુરૂષની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર વસવાટ કરે છે. આ પરિવારની નજીક ભાડે રહેતા 28 વર્ષીય મહંમદ જુનેદ મુસ્લિમ શેખ પ્લમ્બરિંગનું કામ કરતો હતો. દરમિયાન શ્રમિક પરિવારની 17 વર્ષીય પુત્રીને જુનેદ પ્રેમસબંધના બહાને લગ્નની લાલચ આપીને ગત 10 સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો. સગીરાનું અપહરણ થતાં વાલીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડ્યો

ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, બનાવની ગંભીરતા જોઈને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે મહિલા એએસઆઈ મિનાક્ષીબેન, હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ ભડિયાદરા સહિત સ્ટાફને બિહારના દરભંગા રવાના કર્યા હતા. જ્યાં પોલીસે દરભંગા નજીકના પાલી, ઘનશ્યામપુર ગામે રહેતા જુનેદના મકાનમાં બાતમીના આધારે છાપો માર્યો હતો. પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. બંનેને લઈને સુરત પહોંચ્યા હતા. સગીરાનું અપહરણ કરનાર જુનેદ શેખની પોલીસે પૂછપરછ કરતાં ત્રણ સંતાનનો પિતા હોવાનું જણાવ્યું હતું. સગીરાને લગ્ન કરવાના ઇરાદે વતનમાં લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી.