ચલાલી થી વેજલપુર જોડતા માર્ગનું નવીનીકરણ કે તાત્કાલિક સમારકામ કરવા બાબત અને ચલાલી ગોમા નદી ઉપર મંજૂર થયેલ ચેક ડેમનું કામ ચાલુ કરવા અધિક જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

કાલોલ, પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરથી ચલાલી, કરોલી અને સીમલીયા ગામને જોડતા માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે. ત્યારે આ વિસ્તારના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડે છે. હાલ ચોમાસાની ઋતુમાં રસ્તા ઉપર પડેલા જોખમી ખાડામાં પાણી ભરાઈ જાય છે, તેથી માર્ગમાં આવેલા ખાડા દેખાતા નથી. તેથી વાહનો ખાડામાં ખાબકતાં અકસ્માતો સર્જાય છે અને વાહનોને બહુ મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે.

વેજલપુરથી ચલાલી સીમલીયા ગામને જોડતો આ ડામર રસ્તો કરોડો રૂપિયાના ખર્ચે પહોળો બનાવવામાં આવ્યો હતો તેમાં તદન ભ્રષ્ટ્રાચાર થયેલો છે, જે પણ કોન્ટ્રાકટર કે કોઈ એજન્સી દ્વારા રોડ બનવામાં આવ્યો છે, તે વર્ક ઓર્ડર પ્રમાણે અને સરકારી નિયમો અનુસાર બનવામાં આવ્યો જ નથી. તે માર્ગના પણ સેમ્પલ લેવામાં અને તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. વેજલપુરથી ચલાલી જોડતો આ રસ્તો થોડાક સમયમાં તૂટી ગયો હતો. ત્યારબાદ તેને સમયાંતરે હલકી ગુણવતા વાળું મટીરીયલ વાપરીને રીપેરીંગ કરીને લીપાપોતી કરીને છોડી દેવામાં આવે છે. હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ ચૂકી છે. ત્યારે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે કે તાત્કાલિક રસ્તાનું સમાર કામ કરવામાં આવે તેવી કલેકટર ને રજૂઆત કરી છે. મુખ્ય વ્યવહાર વેજલપુર સાથે હોવાનું જણાવ્યું છે ચલાલી કે આજુબાજુના ગામડાઓમાં અકસ્માતો તેમજ પ્રસુતિ માટે પણ લોકોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓનો લાભ ઝડપી મળતો નથી. કારણ કે આ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ બદતર હાલતમાં હોવાને લીધે વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. ચલાલી ગામે પહોંચવામાં વધારે સમય લાગી જાય છે. એવા અનેક કારણોને લીધે ગામલોકો એમ્બ્યુલન્સના લાભથી વંચિત રહી જાય છે

ચલાલી ગોમા નદી ઉપર મંજૂર થયેલ ચેક ડેમનું કામ હજુ સુધી ચાલુ કરેલ નથી. અંદાજીત બે વર્ષ થી આ કામ મંજૂર છે. તેવું ગ્રામજનો કહી રહ્યા છે અને જ્યાં ચેક ડેમ બનાવાનો છે. ત્યાંથી સેમ્પલ પણ લેવાય ગયા છે, પણ હજુ સુધી કામ ન થતાં પાણીની સમસ્યાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીની સપાટી દિન પ્રતિદિન નીચે જઈ રહી છે. છ હજાર વસ્તી ધરાવતું ચલાલી ગામ પાણી માટે વલખાં મારવાં પડે છે. નદીમાં, તળાવોમાં, કૂવામાં, બોરમાં પાણી સુકાઈ જાય છે, તો ચલાલી ગોમા નદી ઉપર ચેક ડેમ બને તો ચલાલી ગામને રાહત થાય તેમ છે. તો વેહલી તકે કામ ચાલુ કરવા ચલાલીના ગ્રામજનોએ માંગ કરી છે. ચલાલી ગામના લોકોને માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નેતાઓ માત્ર ચૂંટણીઓમાં પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે, પછી કોઈ જ આવતું નથી. માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો વેહલી તકે રસ્તાનું સમારકામ કરવામાં નહિ આવે તો અગામી સમયમાં સાત દિવસમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી આજુ બાજુના ગામોને સાથે રાખી આંદોલન પણ કરીશું. રસ્તા ઉપર ઉતરીશું જે પણ કરવું પડે તે કરીશું. તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.