બોટાદના સાળંગપુરમાં માતાના ચારિત્ર્ય પર શંકા રાખી પુત્રએ મોતને ઘાટ ઉતારી

બોટાદના સાળંગપુર માર્ગ પર થયેલી હત્યાના કિસ્સાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તેમા માતાને પુત્રએ જ મોતને ઘાટ ઉતારી હતી. તેણે માતાના ચારિત્ર્ય પર શંકા રાખીને મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે બોટાદ પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ કરતા પુત્રની ધરપકડ કરી હતી.

બોટાદ શહેરનાં સાળંગપુર રોડ પર આવેલ મહમદ ગફુલ સોસાયટીમાં રહેતા અફસાનાબેન ગનીભાઈ પઠાણની ૩૦ જૂને મોડી રાત્રીના હત્યા થઈ હતી. બોટાદ પોલીસે હત્યાની ઘટનાની તરત જ સુધ લીધી હતી. પોલીસે મૃતક અફસાનાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડ્યો હતો અને ત્યારબાદ પોલીસે હત્યા અંગે તપાસ શરૂ કરી હતી.

પોસ્ટમોર્ટમમાં ખબર પડી હતી કે સગા દીકરાએ જનેતાને ઓશીકાથી ગળું દબાવી હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો, બોટાદ પોલીસે માતાની હત્યા કરનાર કપાતર દિકરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. આ ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા દીકરાની ધરપકડ કરી હતી. માતાની હત્યા કરનારો આફતાબ અગાઉ પણ બે ગુનામાં સંડોવાયેલો છે. આ સિવાય તેણે કેટલા ગુના આચર્યા છે તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.