બોટાદમાં હોડી ડૂબતા ચાર મસાફરો ડૂબ્યા, બચાવનારનું મોત થયું

બોટાદ જીલ્લામાં ગઢડાના ખીજડિયા ગામની નજીકમાં આવેલા બેલનાથ મંદિરમાં આજે શ્રાવણના છેલ્લા સોમવારે ચાર વ્યક્તિઓ હોડીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન હોડીએ કાબૂ ગુમાવતા બેઠેલા ચાર મુસાફરો નદીમાં ડૂબાઈ ગયા હતા. પરંતુ ચારેયનો આબાદ બચાવ થયો હતો. નદીના સામેના કિનારે ઉભેલા હરપાલસિંહ ગોહિલ નામની વ્યક્તિએ મુસાફરોને ડૂબાતા જોઈ પાણીમાં રેસ્ક્યુ કરવા તરત ડૂબકી મારી હતી. પરંતુ બચાવનારે જ અહીં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હરપાલસિંહ ગોહિલનું પાણીમાં ડૂબવાથી મોત નિપજ્યું છે. સ્થાનિકોને ઘટનાની જાણ થતા તુરંત જ ગઢડા મામલતદાર સહિતના તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી અપાયો છે.

મોરબીના ટંકારા તાલુકાના વીરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં અંદર બનાવેલ કોઝવે ઓળંગવા દરમિયાન તળાવમાં પગ લપસી જતાં બેના મોત થયા હતા. મૃત્યુ પામનારા બંને જણા કોઝવે ઓળંગીને સામે કાંઠે રીક્ષા લેવા જતા હતા. તે દરમ્યાન કોઝવે ઓળંગતી વખતે પગ લપસતા પ્રવિણભાઇ નરશીભાઈ સનાળીયા તથા પ્રેમજીભાઈ ભગવાનજી સનાળીયાનામના વ્યક્તિ પાણીમાં ડૂબી ગઇ હતી. જે અંગેની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરતા બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.