બિહારમાં ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો, માતા સહિત ૩ બાળકો જીવતા દાઝી ગયા

કિશનગંજ, બિહારના કિશનગંજ જિલ્લાના પૌકાખલી વિસ્તારમાં એક મકાનમાં અચાનક એલપીજી સિલિન્ડર ફાટવાથી લાગેલી આગમાં ૩૦ વર્ષીય મહિલા અને તેના ત્રણ બાળકો બળીને ભડથું થઈ ગયા હતા જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મૃતકના એક ભાઈ અને બહેનનો પણ સમાવેશ થાય છે. દરેકને સારવાર માટે પૂણયા મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન માતા અને ત્રણ બાળકોના મોત થયા હતા, જ્યારે બે લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં પરિવાર સંપૂર્ણ નાશ પામ્યો હતો.

મહિલા બુધવારે સવારે ૭ વાગ્યાની આસપાસ ચા બનાવવા ગઈ હતી. તેણે ગેસનો ચૂલો સળગાવતા જ સિલિન્ડર ફાટ્યો. મૃતકોની ઓળખ કિશનગંજના પોખલી ગામના રહેવાસી મોહમ્મદ અંસારની પત્ની સાહિબા તરીકે થઈ છે અને બાળકોમાં ૮ વર્ષની અનીશા, ૪ વર્ષની આરુષિ અને ૫ વર્ષીય અનીશનો સમાવેશ થાય છે. ઘટના બાદ પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આખા ગામમાં શોકમય મૌન છે. મૃતકનો પતિ મેરઠમાં નોકરી કરે છે. સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી કે અન્ય કોઈ કારણ છે તે અંગે પોલીસ તપાસમાં વ્યસ્ત છે. પોલીસ તપાસ બાદ જ સમગ્ર મામલો બહાર આવે તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે કિશનગંજ જિલ્લાના પૌઆખલી વિસ્તારના નાનકર ગામમાં એક ઘરમાં રસોઈ બનાવતી વખતે એલપીજી સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થવાથી ચાર લોકોના જીવ ગુમાવવા પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જારી કરાયેલા નિવેદન અનુસાર, નીતીશે આ અકસ્માતને અત્યંત દુ:ખદ ગણાવ્યો હતો અને ઘટનામાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. મુખ્યમંત્રીએ આ દુ:ખની ઘડીમાં મૃતકોના પરિવારને ધીરજ રાખવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.

કિશનગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સિંગલાએ કહ્યું, મેં આ મામલાની તપાસનો આદેશ આપ્યો છે. વિસ્ફોટનું કારણ જાણવા માટે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જિલ્લા વહીવટીતંત્ર એલપીજી સિલિન્ડર કંપનીને પણ પત્ર લખશે, જેથી કરીને વિસ્ફોટમાંથી સલામતીના દૃષ્ટિકોણથી આ બાબતની પણ તપાસ થઈ શકે છે. સિંગલાએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં જિલ્લામાં એલપીજી સિલિન્ડર વિસ્ફોટની ઘટનાઓ વધી છે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર પીડિત પરિવારને કાયદા મુજબ તમામ શક્ય મદદ કરશે.