ભેળસેળ પર સવાલ

એનું આશ્ર્ચર્ય નહીં કે હોંગકોંગ અને સિંગાપોરમાં ભારતની બે કંપનીઓના મસાલામાં કથિત રીતે કેન્સરકારક તત્ત્વો મળી આવવા અને તેના પર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકા પણ આ કંપનીઓના મસાલાની તપાસમાં જોડાઈ ગયું છે. આવનાર દિવસોમાં એવા સમાચારો અન્ય દેશોમાંથી પણ આવી શકે છે. અંદેશો એનો પણ છે કે મસાલાની સાથે ભારતીય કંપનીઓના અન્ય ઉત્પાદનોની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી શકે છે. જેમ જેમ ભારતીય ઉત્પાદનોની નિકાસ વધશે, તેમ તેમ તેમણે આવી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. હાલમાં એ કહેવું મુશ્કેલ છે કે હોંગકોંગ અને સિંગાપોર દ્વારા એમડીએચ અને એવરેસ્ટના મસાલાને લઈને જે ફરિયાદ કરવામાં આવી, તે કેટલી સાચી છે, પરંતુ એ યોગ્ય રહેશે કે એ તમામ ભારતીય કંપનીઓ સચેત થઈ જાય, જે પોતાનાં ઉત્પાદનોની નિકાસ કરે છે. તેમની ગુણવત્તાની ગહન પરખ થવાની સાથે સાથે પ્રતિસ્પર્ધા અથવા ઈર્ષ્યાવશ પણ તેમને કઠેરામાં ઊભી કરી શકાય છે. એનાથી સંતુષ્ટ ન થવાય કે હોંગકોંગ અને સિંગાપોર દ્વારા પગલાં ભર્યા બાદ ભારતીય મસાલા બોર્ડ સાથે ભારત સરકાર પણ સક્રિય થઈ, કારણ કે એ તો પહેલેથી જ સુનિશ્ર્ચિત કરવું જોઇતું હતું કે જે મસાલા નિકાસ થઈ રહ્યા છે, તેમની ગુણવત્તા યોગ્ય છે કે નહીં?

એ માનવાનાં ઘણાં કારણો છે કે એફએસએસએઆઇ એટલે કે ભારતીય ખાદ્ય સુરક્ષા માપદંડ પ્રાધિકરણ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યું. એ હાલમાં ત્યારે ઇંગિત થયું હતું, જ્યારે બહુરાષ્ટ્રીય કંપની નેસ્લેના ઉત્પાદન સેરેલેક વિશે જાણવા મળ્યું હતું કે તેમાં ખાંડની માત્રા ક્યાંય વધારે છે. શું એ વિચિત્ર નથી કે એફએસએસએઆઇ દ્વારા હવે એમ કહેવાઈ રહ્યું છે કે આખા દેશમાં મસાલાની ગુણવત્તાની તપાસ કરવામાં આવશે? આખરે આ કામ પહેલાં જ સમય રહેતાં કેમ ન કરવામાં આવ્યું? યોગ્ય એ રહેશે કે આ તપાસ મસાલા સુધી જ સીમિત ન રહે, કારણ કે દેશમાં વેચાતા કેટલાય ખાદ્ય અને પેય પદાર્થો એવા છે, જેમની ગુણવત્તાને લઈને શંકા થતી રહે છે અને ફરિયાદો પણ આવતી રહે છે. ખાદ્ય અદ્ઘે પેય પદાર્થોની ગુણવત્તા સાથે જાણીજોઈને સમજૂતી કરવાની સાથે તેમાં અખાદ્ય અને હાનિકારક સામગ્રીની ભેળસેળ બહુ સામાન્ય છે. તેનું મોટં કારણ તેની ગુણવત્તાની તપાસ યોગ્ય રીતે નહીં થવાનું છે. આ સમસ્યા દવાઓ મામલે પણ જોવા મળી છે. દવાઓનાં સેમ્પલ માત્ર તપાસમાં ફેલ જ નથી થતાં, પરંતુ સરકારી હોસ્પિટલો સુધીમાં ઉતરતા દરજ્જાની અને ક્યારેક તો નકલી દવાઓ ખપાવવાના સમાચાર આવતા રહે છે. તેની પણ અવગણના ન કરી શકાય કે કેટલાક સમય પહેલાં ભારતથી નિકાસ થનારી ખાંસીની દવાઓમાં વિષાક્ત પદાર્થની ભેળસેળના કિસ્સા સામે આવ્યા હતા. એવા મામલે ભારતની શાખને કમજોર કરવાની સાથે જ દેશના ફાર્મા ઉદ્યોગને પણ ક્ષતિ પહોંચાડે છે.