ભાવનગર જીલ્લાના પિંગળી ગામે વૃદ્ધ દંપતીની બેવડી હત્યાના આરોપીઓની ધરપકડ કરાઇ

ભાવનગર, જિલ્લાના પિંગળી ગામે ખેતીવાડીનું કામ કરતા વૃદ્ધ દંપતીની હત્યા કરનાર આરોપીઓને પોલીસે દબોચી લીધા છે, એક જ ગામમાં રહેતા રણજિત નામના શખ્સે કોઈ જુના મનદુ:ખની દાઝ રાખી સોપારી આપી હત્યા કરાવી હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે, ૫ લાખમાં સોપારી લઈને હત્યા કરવાના કેસમાં કુલ છ આરોપીઓને ઝડપી લેવામાં ભાવનગર પોલીસને સફળતા મળી છે, ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને તળાજા પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી છ માસ બાદ બેવડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ભાવનગર જીલ્લાના બહુચર્ચીત તળાજા તાલુકાના પિંગળી ગામે તા.૧૧/૦૭/૨૦૨૩ના રોજ વૃદ્ધ દંપતીની બેવડી હત્યાનો બનાવ બન્યો હતો, પીંગળી ગામે રહેતા શીવાભાઈ મોતીભાઈ રાઠોડ અને તેમના પત્ની વસંતબેન શીવાભાઈ રાઠોડની અજાણ્યા ઇસમો ઘાતકી રીતે હત્યા કરી હતી. દંપતીના આખા શરીર પર એટલી ક્રૂરતા પૂર્વક ઘા ઝીંકવામાં આવ્યા હતા, કે જે જોઈને ભલભલાનું કાળજું કંપી જાય, પોલીસ તપાસ દરમ્યાન આ દંપતીની હત્યા બે દિવસ પહેલા થઈ હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું, ગામના છેવાડે ડેલીબંધ મકાનમાં રહેતું આ વૃદ્ધ દંપતી ખેતીવાડીનું કામકાજ કરતું હતું, તેમના ૩ પુત્રો છે, જેઓ અલગ અલગ જગ્યાઓ પર વ્યવસાય કરે છે, આ વૃદ્ધ દંપતી હત્યાના બે દિવસ પહેલા બગદાણા ધામે બજરંગદાસ બાપાના મંદિરે દર્શન કરવા ગયું હતું, અને ત્યાંથી પાછા ફરી નિત્યક્રમ પતાવી ઓસરી માં સુઈ ગયા હતા.

મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ ડેલી કૂદીને અંદર ઘુસી પ્રાણ ઘાતક હથિયારોના ઉપરા છાપરી ઘા ઝીંકી તેમની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી હતી. માતાપિતા વતનમાં એકલા જ રહેતા હોય આ દંપતીને તેમના પુત્રો અવાર નવાર ફોન કરી ખબરઅંતર પૂછી લેતા હતા, ત્યારે પુત્રોએ માતાપિતા સાથે વાત કરવા ફોન કર્યો હતો, પરંતુ બે દિવસથી કોઈ જવાબ મળતો ના હતો, અંતે ફોન રિસીવ નહિ થતાં તેના પુત્રોએ પાડોશી ને ફોન કરી તપાસ કરવા જણાવ્યું હતું, જેથી પાડોશી તેમના ઘરે ગયા હતા, પરંતુ ડેલી અંદરથી બંધ જણાતાં તેમણે વૃદ્ધ દંપતીને અવાજ લગાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રત્યુતર નહિ મળતાં પાડોશીઓએ ડેલી પર ચડી અંદર નજર કરી હતી, પરંતુ અંદરનું દૃશ્ય જોઈ પાડોશી હેબતાઈ ગયા હતા, બંને દંપતીની હત્યા કરેલી હાલતમાં લાશ ખાટલામાં જોવા મળતા પાડોશીએ આજુબાજુના લોકોને એકત્રિત કરી પોલીસને જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં જ એલસીબી, એસઓજી, એફએસએલ, ડોગ સ્કોર્ડ, તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. ખાટલામાં સૂતેલા દંપતીને અજાણ્યા ઈસમોએ એટલી ક્રૂરતા પૂર્વક ઘા ઝીંક્યા હતા, જે જોઈ પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી અને આટલી ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર આરોપીઓને ઝડપી લેવા સીટની રચના કરવામાં આવી હતી. હત્યા કરવાનું કારણ, હત્યા કરી કે કરાવડાવી, કેટલા આરોપીઓ હતા જેવા અનેક પ્રશ્ર્નોનો પોલીસ જવાબ શોધી રહી હતી, જોકે લાંબો સમય વીતવા છતાં હત્યા કરવા પાછળના કારણ સુધી પોલીસ પહોંચી શકી નહોતી.

ભાવનગર જિલ્લાના તળાજાના પીંગળી ગામે થયેલ વૃદ્ધ દંપતીની હત્યાની તપાસમાં પોલીસે અલગ અલગ ટિમો બનાવી આકાશ પાતાળ એક કરી દીધા હતા, પરંતુ હત્યા કરનાર કે હત્યા કરવાનું કોઈ કારણ નહીં મળતાં પોલીસ પણ વિમાસણમાં મુકાઈ ગઈ હતી, કોઈ સાથે અણબનાવ કે ઝઘડા થયો હોવા બાબત પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ, વૃદ્ધ દંપતી મિલનસાર સ્વભાવ નું હોય કોઈ સાથે ઝઘડો થયો હોવા અંગેની વાત પાડોશીઓ અને પરિવારના લોકોએ નકારી કાઢી હતી, તેમને ક્યારેય કોઈ સાથે કોઈ બોલાચાલી કે અન્ય કોઈ બબાલ થઇ નોહતી, તો પછી આ હત્યા કોણે કરી હશે? શા માટે કરી હશે? તે સૌથી મોટો સવાલ પોલીસના મનમાં ઉભો થયો હતો. બનાવ બાદ ડોગની મદદથી પોલીસે આ ઘરની આસપાસ ના વિસ્તારો ખૂંદી નાખ્યા હતા, તેમજ અન્ય વાડી વિસ્તારોમાં પણ તપાસ કરી હતી, પરંતુ કોઈ જ વાંધાજનક વસ્તુ કે હથિયારો મળ્યાના હતા.

પિંગળી ગામે ખેતીવાડી ના વ્યવસાય સાથે જોડાયેલા વૃદ્ધ દંપતીની હત્યા બાદ પોલીસે હત્યારાઓ ને ઝડપી લેવા અથાગ પ્રયત્નો કર્યા હતા, હત્યારાઓને શોધવા બનાવાયેલ એસઆઇટી ટીમ પણ આરોપીઓનો છેડો મેળવવામાં નિષ્ફળ નીવડી હતી, અંતે ગુન્હાનો ભેદ ઉકેલવામાં અસમર્થ જણાતા ભાવનગર રેન્જ આઈજી ની સૂચના મળતાં ભાવનગર પોલીસે કોર્ટમાં છ સમરી રજૂ કરી હતી, હત્યાના કેસમાં આરોપી નહિ મળતા પોલીસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં હત્યારાઓ એ ઘરમાંથી કોઈ દાગીના કે કીમતી મત્તાની લૂંટ નહિ કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે અન્ય દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે આખા કેસની એકડે એકથી ફરી તપાસ શરૂ કરી, જેમાં પોલીસ ત્રણ ઇ એટલે કે રિસ્ટાર્ટ, રીફોક્સ અને રિસેટ ની થિયરીનો પ્રયોગ હાથ ધરી જેમાં પોલીસ ને આશાનું એક કિરણ દેખાયું, ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીઓની ભાળ મેળવવા પિંગળી ગામથી આજુ-બાજુના ૫૦ કિમી વિસ્તારના કુલ-૧૯ ગામના ૩૮ જેટલા સી.સી.ટી.વી કેમેરાઓ તપાસવામાં આવ્યા, હત્યાના ગુન્હાઓમાં અગાઉ પકડાઇ ગયેલ શંકાસ્પદ ઇસમોની તેમજ આજુ-બાજુના ગામના રહીશોની પુછપરછ કરવામાં આવી હતી