ભારત તેના પશ્ર્ચિમી ભાગીદારો અને મિત્રોને પોતાની ચિંતા વ્યક્ત કરી

નવીદિલ્હી, ખાલિસ્તાની અલગતાવાદીની હત્યાને લઈને કેનેડા સાથેના રાજદ્વારી વિવાદની વચ્ચે ભારતે કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી તત્વોની વધતી જતી પ્રવૃત્તિઓ અંગે મુખ્ય પશ્ર્ચિમી ભાગીદારો અને મિત્રોને તેની ચિંતાઓ જણાવી છે. જાણકારી અનુસાર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કેનેડાએ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને કોઈ ચોક્કસ માહિતી આપી નથી.

બાગચીએ કહ્યું કે, કેનેડા દ્વારા આ મામલે કોઈ ચોક્કસ માહિતી શેર કરવામાં આવી નથી. અમને આપવામાં આવેલી કોઈપણ ચોક્કસ માહિતીની તપાસ કરવા અમે તૈયાર છીએ. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટૂડોએ ૧૮ જૂને કેનેડામાં નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ‘સંભવિત’ સંડોવણીનો આક્ષેપ કર્યા પછી આ વાત સામે આવી છે. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ છે.

ભારતે આ આરોપોને ‘વાહિયાત’ અને ‘પ્રેરિત’ ગણાવીને ફગાવી દીધા હતા. આ મામલામાં કેનેડાએ એક ભારતીય અધિકારીને હાંકી કાઢ્યા બાદ ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.

બાગચીએ કહ્યું, “અમે આ મુદ્દા સહિત વિવિધ મુદ્દાઓ પર અમારા સાથીદારો અને મિત્રોના સંપર્કમાં છીએ. અમે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. અમે તેને કેવી રીતે જોઈએ છીએ તેના પર અમે અમારું વલણ વ્યક્ત કર્યું છે.” તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતે તેના નજીકના ભાગીદારો અને મિત્રોને કેનેડા સાથેના તેના રાજદ્વારી વિવાદ વિશે જાણ કરી છે.

જાણકારી અનુસાર ભારતે ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા સહિતના અન્ય દેશોનો સંપર્ક કર્યો છે અને કેનેડામાં ભારત વિરોધી તત્વોની વધતી ગતિવિધિઓ પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે કેનેડા સાથેના રાજદ્વારી વિવાદ પર ભારતે તેના મુખ્ય મિત્રો અને ભાગીદારોને પોતાનું એકંદર વલણ જણાવ્યુ છે. વધતા રાજદ્વારી તણાવને પગલે ભારતમાં તેના મિશનની સુરક્ષા અંગે કેનેડાની ચિંતાઓ વિશે પૂછવામાં આવતા બાગચીએ કહ્યું કે ભારત તેની જવાબદારીઓને ખૂબ ગંભીરતાથી લે છે. તેમણે કહ્યું, “અમે ચોક્કસપણે ભારતમાં વિદેશી રાજદ્વારીઓને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરીશું. અમે કેનેડિયન સત્તાવાળાઓ પાસેથી પણ અપેક્ષા રાખીએ છીએ કે કેનેડામાં અમારા રાજદ્વારીઓ પ્રત્યે સમાન સંવેદનશીલતા દાખવશે.