ભાજપ જમ્મુ-કાશ્મીરમાં પોતાના દમ પર ચૂંટણી લડશે, કોઈ ગઠબંધનની જરૂર નથી,રવિન્દ્ર રૈના

શ્રીનગર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ જમ્મુ અને કાશ્મીરમાં લોક્સભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે કોઈપણ જોડાણને નકારી કાઢ્યું હતું. સોમવારે શ્રીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા રૈનાએ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી માટે ભાજપને કોઈ ગઠબંધનની જરૂર નથી. ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે અને જીતશે.

રૈનાએ કહ્યું, ’ભાજપ જમ્મુ-કાશ્મીરની તમામ પાંચ સીટો પર ચૂંટણી લડવા માટે તૈયાર છે. અમે એકલા હાથે લોક્સભાની ચૂંટણી લડીશું. જ્યારે ચૂંટણી પંચ (જમ્મુ અને કાશ્મીર માટે) વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરશે, ત્યારે અમે અમારી રીતે ચૂંટણી લડીશું.

તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેમની પાર્ટી બંને ચૂંટણી જીતશે. ભાજપને જમ્મુ-કાશ્મીરના લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. રૈનાએ કહ્યું કે બીજેપીને વિશ્વાસ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ માર્ચે એક જાહેર રેલી માટે શ્રીનગર આવશે ત્યારે જમ્મુ અને કાશ્મીરના લોકો તેમના માટે તેમનો પ્રેમ બતાવશે.

કાશ્મીરના લોકો માટે ખુશીની વાત છે કે પીએમ મોદી ૭ માર્ચે ઘાટીમાં આવી રહ્યા છે. જ્યારે પીએમ કાશ્મીર આવશે ત્યારે બક્ષી સ્ટેડિયમમાં બે લાખથી વધુ લોકો રેલીમાં ભાગ લેશે. કાશ્મીરમાં ખુશીની લહેર છે કે પીએમ મોદી કાશ્મીર આવી રહ્યા છે.

રૈનાએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરને નાણાકીય ફાળવણી કરવામાં ઉદાર છે, જેના પરિણામે કેન્દ્રશાસિત પ્રદેશમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. તેમણે કહ્યું, ’૨૦૧૪માં કાશ્મીરમાં મોદીના આગમનથી પૂર પીડિતોને આશાનું કિરણ મળ્યું હતું. તેમણે ૮૦,૦૦૦ કરોડના વિકાસ પેકેજની જાહેરાત કરી હતી. તે પેકેજના કારણે જ કાશ્મીર સમસ્યાઓમાંથી બહાર આવી શક્યું.

તેમણે કહ્યું, મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર માટે ઉદારતાપૂર્વક ભંડોળ ફાળવ્યું છે. આજે કાશ્મીર એક સમૃદ્ધ અને શાંતિપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.