
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શરદ પવારને રાજકારણમાં ભ્રષ્ટાચારના માસ્ટરમાઈન્ડ કહ્યા બાદ હવે એનસીપી એસસીપી સાંસદ સુપ્રિયા સુલેએ વળતો પ્રહાર કર્યો છે. સુલેએ કહ્યું કે આજે જે વ્યક્તિ પર ગૃહમંત્રી ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે તે જ મોદી સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવી હતી. ભાજપે જેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તેમાંથી મોટાભાગના લોકો આજે ભાજપમાં છે.
શાહના નિવેદન પર સુલેએ કહ્યું કે આ સાંભળીને હું હસી પડી કારણ કે એ જ મોદી સરકારે શરદ પવારને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. અમિત શાહના કાર્યક્રમમાં તેમની પાછળ બેઠેલા અશોક ચવ્હાણ હતા, જેના પર સૌથી વધુ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. આથી ભાજપે જેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તેમાંથી ૯૦ ટકા લોકો આજે વોશિંગ મશીનના કારણે ભાજપમાં છે.
તેમણે વધુમાં કહ્યું કે ભાજપે પહેલા નક્કી કરવું જોઈએ કે શરદ પવાર ખરેખર શું છે? બીજી મોટી વાત એ છે કે ભાજપે જેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો તે તમામ ૧૨ નેતાઓ આજે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે. આવી સ્થિતિમાં ભાજપે પહેલા નક્કી કરવું જોઈએ કે આ દેશમાં ભ્રષ્ટ કોણ છે? ભાજપ સંભવત: આ અંગે મૂંઝવણમાં છે કારણ કે તેની પોતાની સરકારે પવાર સાહેબનું સન્માન કર્યું હતું.
સુપ્રિયા સુલે પહેલા તેમના પક્ષના નેતા જયંત પાટીલે પણ શાહના નિવેદનોની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ગૃહમંત્રીના આરોપોમાં કોઈ સત્ય નથી. અમિત શાહને ખ્યાલ નથી કે જેમના પર તેમણે આ આરોપ લગાવ્યો હતો તે લોકો હવે તેમની સાથે બેઠા છે. આજ સુધી શરદ પવાર પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. ખોટા આક્ષેપો કરવા અને આવા ભાષણો આપવાનો તેમનો એજન્ડા જણાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એટલે કે રવિવારે પુણેમાં રાજ્ય ભાજપ સંમેલનમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે રાજ્યની વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શરદ પવાર રાજકારણમાં ભ્રષ્ટાચારના માસ્ટર માઇન્ડ છે. તેઓએ ભ્રષ્ટાચારનું સંસ્થાકીયકરણ કર્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ મજબૂત દેખાવ કરશે અને ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે.