ભાજપ રાજ્યસભામાં યુવાઓને તક આપશે, વૃદ્ધ સાંસદોને હટાવાશે

નવીદિલ્હી, ભાજપ રાજ્યસભામાં વૃદ્ધ સાંસદોની સંખ્યા ઘટાડશે. તેમના સ્થાને એવા યુવા નેતાઓને ઉપલા ગૃહમાં મોકલાશે, જેમને સંસદીય રાજનીતિનો અનુભવ નથી. તેમાં ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરના નેતા વધુ હશે. ભાજપની તૈયારી ઉપલા ગૃહને યુવા નેતાઓના ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસિત કરવાની છે. એટલે જ યુવાન નેતાઓને જન આકાંક્ષાઓને સમજવા માટે ઉપલા ગૃહમાં મોકલાશે. પાર્ટી ઇચ્છે છે કે તેમના નેતા લોક્સભાથી પહેલા રાજ્યસભા મારફતે નિયમો, કાનૂનો, મુદ્દાઓ અને જવાબદારીઓ સમજે અને ગંભીર બને.

મોટા નામોને લોક્સભા ચૂંટણી લડાવવાની તૈયારી । સૂત્રોનુસાર, મોદી સરકારમાં ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, અશ્ર્વિની વૈષ્ણવ, મનસુક માંડવિયા જેવા કેટલાક મંત્રી તેના ઉદાહરણ છે. પાર્ટીનું માનવું છે કે તેમની સફળતા પાછળ રાજ્યસભા સભ્ય હતા ત્યારે મુદ્દાઓને લઇને તેમની ટ્રેનિંગ છે. તેમાંથી અનેકને લોક્સભા ચૂંટણીના મેદાનમાં ઉતારાશે.

અત્યારે મોટા ભાગના ઉંમરલાયક અથવા લોક્સભાની રાજનીતિમાં ફિટ ન થતા કાર્યકરોને રાજ્યસભાના સભ્યો બનાવાય છે. તે ઉપરાંત, રાજ્યસભા ઉચ્ચ પદો પર બેઠેલા વ્યક્તિઓને ફરજ પાડવાનું પણ એક માધ્યમ બનેલું છે. તદુપરાંત, બ્રિટિશના જમાનાથી નિષ્ણાંતો અને લોક રાજનીતિમાં ઓછા સક્રિય લોકોને રાજ્યસભામાં મોકલવાની પરંપરા રહી છે. પાર્ટી આ માનસિક્તા અને પરંપરાને ખતમ કરવા માંગે છે.

રાજ્યસભામાં અત્યારે ભાજપના ૯૩ સાંસદ છે. જેમાંથી ૬૧થી વધુની ઉંમર વાળા ૪૨ છે. જ્યારે, ૫૧ થી ૬૦ની ઉંમર ધરાવતા ૩૭ અને ૪૦ થી ૫૦ વર્ષ સુધીના ૯ સાંસદ છે. રાજ્યસભામાં આ વર્ષે એપ્રિલથી જુલાઇની વચ્ચે ભાજપ કોટાના ૨૯ સાંસદો નિવૃત્ત થઇ રહ્યાં છે. તેમાં મહત્તમ સીટો પર યુવાઓને તક અપાશે.