ભાજપના ’રૂપાલા’ મુશ્કેલીમાં, રાજકોટ કોર્ટમાં કેસ દાખલ

રાજકોટ, લોક્સભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ, ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ખોટી અને નિમ્નસ્તરીય ટપ્પણીથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. ગુરુવારે રાજ્યના ૯૦ જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો, પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોક્સભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઈ છે. આ અંગે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનો સંપર્ક સાધતા જણાવ્યું કે રાજકીય નેતાઓ સમાધાનના પ્રયાસો થઈ રહ્યાની વાતો કરે છે પરંતુ, અમે આવા કોઈ પ્રયાસો કર્યા નથી. પરશોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે, તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણીબુઝીને કહ્યું છે અને તેને માત્ર એક વિડીયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી માંગણી અમે કરી છે.

લાઠી સ્ટેટના વંશજ અને રાજકોટના રહીશ આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં ધસી જઈને પરશોત્તમ રૂપાલા સામે જાહેરસભામાં મત મેળવવાની લાલચે ક્ષત્રિય સમાજને નીચા દેખાડવા તેવો વિડીયો વાયરલ થયો છે તે અંગે આઈ.પી.સી.૪૯૯,૫૦૦ હેઠળ ફરિયાદ કરી છે. રૂપાલા સામેના રોષને વાચા આપવા ત્રણ-ચાર દિવસ બાદ રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવા પણ જાહેર કરાયું છે તેમ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું.

ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજમાં બેઠકોનો દોર શરૂ થયો છે. એટલુ જ નહીં, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં ય વિરોધ વંટોળ ઉઠ્યો છે. ઉંઝામાં રુપાલા વિરૂધ પોલીસ સ્ટેશને ફરિયાદ એપવામાં આવી છે. અમદાવાદમાંય ક્ષત્રિયોની એક બેઠક મળી હતી જેમાં મતના માયમથી ભાજપને સબક શિખવાડવા નક્કી કરાયુ છે. બીજી તરફ, આ વિવાદને થાળે પાડવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. જોકે અન્ય ક્ષત્રિયો એકેય આગેવાનનું માનવા તૈયાર નથી. રાજ્ય ચૂંટણી પંચમાં ય રુપાલા વિરુધ ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે રાજકોટ કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો છે