ભગવાન શિવને ચડાવવા માટે યુવકે છરી વડે જીભ કાપી દીધી

દુર્ગ, છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ કથિત રીતે અંધવિશ્ર્વાસના કારણે પોતાની જીભ કાપી નાખી. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ૩૩ વર્ષીય રાજેશ્ર્વર નિષાદે જિલ્લાના અંજોરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના થાનૌડ ગામમાં જીભ કાપી હતી. નિષાદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અંજોરા ચોકીના પ્રભારી રામ નારાયણ ધ્રુવે જણાવ્યું કે ગામલોકોએ માહિતી આપી છે કે નિષાદ આજે સવારે લગભગ આઠ વાગે ગામના તળાવ પર પહોંચ્યો હતો અને એક પથ્થર પાસે બેસીને કેટલાક મંત્રોનો પાઠ કરવા લાગ્યો હતો. બાદમાં તેણે અચાનક જ છરી વડે તેની જીભ કાપી નાખી અને તેને પથ્થરની નજીક રાખી દીધી.

ધ્રુવે જણાવ્યું કે જ્યારે ગામલોકોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ સરકારી એમ્બ્યુલન્સ સેવા અને પોલીસને જાણ કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે નિષાદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નિષાદે અંધવિશ્ર્વાસના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શિવને પોતાની જીભ અર્પણ કરવા માંગતો હતો. તેણે કહ્યું કે નિષાદને ત્રણ બાળકો છે અને તેની પત્ની મૂંગી છે.

પોલીસ બાળકો અને ગ્રામજનોની પૂછપરછ કરી રહી છે. પોલીસે નિષાદે વાપરેલ છરી પણ કબજે કરી લીધી છે. ધ્રુવે કહ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.