બરખા બિષ્ટ અને ઈન્દ્રનીલ સેનગુપ્તા લેશે છૂટાછેડા, ૧૩ વર્ષ જૂના સંબંધોનો અંત

મુંબઇ,ટીવી જગતના ફેમસ કપલમાંથી એક અભિનેત્રી બરખા બિષ્ટ અને એક્ટર ઈન્દ્રનીલ સેનગુપ્તાના અલગ થવાના સમાચારે ચાહકોને દુ:ખી કરી દીધા છે. અહેવાલો અનુસાર આ કપલ છેલ્લા બે વર્ષથી અલગ રહે છે અને હવે પહેલીવાર અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યું છે અને તેના પર પ્રતિક્રિયા આપી છે. બરખાએ કહ્યું છે કે તે જલ્દી જ ઈન્દ્રનીલને છૂટાછેડા આપવા જઈ રહી છે.

બરખા બિષ્ટે તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે તેઓ લગ્નના લગભગ ૧૩ વર્ષ પછી અલગ થવા જઈ રહ્યા છે. બરખાએ વાતચીતમાં કહ્યું, ’હા, ટૂંક સમયમાં જ અમે છૂટાછેડા લેવા જઈ રહ્યા છીએ અને આ મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય છે.’ વર્ષ ૨૦૨૧માં બંને વચ્ચેના સંબંધોમાં તિરાડના અહેવાલો આવ્યા હતા, જોકે દંપતીએ તેના વિશે કંઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

પ્રોફેશનલ કરિયર પર વાતચીત દરમિયાન બરખાએ કહ્યું, ’હું સિંગલ મધર છું અને મીરા મારી પ્રાથમિક્તા છે. વર્ક ફ્રન્ટ પર હું ઓટીટી સ્પેસમાં કેટલાક સારા પ્રોજેક્ટ્સ કરી રહી છું. હું ટીવી અને ફિલ્મો પણ શોધી રહી છું. બરખા અને ઈન્દ્રનીલને મીરા નામની ૧૧ વર્ષની પુત્રી છે. બરખાએ વાતચીતમાં છૂટાછેડાનું કારણ જાહેર કર્યું ન હતું, જ્યારે સ્પષ્ટ કર્યું હતું કે તેની પુત્રીની સંભાળ તેની પ્રાથમિક્તા છે.

જણાવી દઈએ કે બરખા અને ઈન્દ્રનીલ ટીવી શો ’પ્યાર કે દો નામ’ દરમિયાન મળ્યા હતા. પહેલા તેઓ મિત્રો બન્યા અને પછી પ્રેમમાં પડ્યા. થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ માર્ચ ૨૦૦૮માં લગ્ન કરી લીધા. નોંધપાત્ર રીતે બરખાએ ટીવી શો ’ક્તિની મસ્ત હૈ ઝિંદગી’ થી અભિનયની શરૂઆત કરી હતી અને તે પછી તેણે ક્સૌટી જિંદગી કી, પ્યાર કે દો નામ, સાજન ઔર જાના હૈ અને ચંદ્રગુપ્ત મૌર્ય જેવા શોમાં પોતાના અભિનયથી ઓળખ મેળવી હતી. બરખાએ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, જેમાં રજનીતિ, ગોલિયોં કી રાસલીલા – રામલીલા, પીએમ નરેન્દ્ર મોદી, અમી શુભાષ બોલચી વગેરેનો સમાવેશ થાય છે.