બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો મહિલાઓને દર મહિને ૨૦૦૦ રૂપિયા આપીશું : શુભેંદુ અધિકારી

  • દેશની જનતા ભાજપને ફરીથી સત્તા પર બેસાડશે

કોલકતા, પશ્ર્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે. બંગાળમાં વિપક્ષના નેતા અને નંદીગ્રામના ધારાસભ્ય શુભેંદુ અધિકારીએ પંચાયત ચૂંટણી પ્રચાર દરમિયાન એક મોટું વચન આપ્યું છે. શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો રાજ્યની મહિલાઓને ૫૦૦ રૂપિયાના બદલે ૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે, જોકે ટીએમસીના નેતાઓએ બીજેપી નેતાના નિવેદન પર પ્રહારો કર્યા છે.

જણાવી દઈએ કે વર્તમાન તૃણમૂલ સરકારનો ‘લક્ષ્મી ભંડાર યોજના’ વિપક્ષી પાર્ટીના નેતાના નિશાના પર છે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને ૫૦૦ રૂપિયા આપવામાં આવે છે. તૃણમૂલ સરકારે ૬ મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી ૨૦૨૧માં આપેલા વચનનો અમલ કર્યો છે. સામાન્ય ગૃહિણીઓ માટે ‘લક્ષ્મી ભંડાર પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દર મહિને ૫૦૦ રૂપિયાની ગ્રાન્ટ આપે છે. આ સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને દર મહિને ૧૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે તેમાં સામાન્ય ઘરની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની છે. શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામની બેઠકમાં લક્ષ્મી ભંડારનો મુદ્દો ઉઠાવ્યો ન હતો, તેના બદલે તેમણે આસામના મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનનું નામ લીધું હતું. શુભેન્દુ અધિકારીના કહેવા પ્રમાણે ભાજપ શાસિત રાજ્યો પણ મહિલાઓને પૈસા આપે છે.

લક્ષ્મી ભંડારનું નામ લીધા વિના વિપક્ષી દળના નેતાએ કહ્યું, ભાજપ ચૂંટણી જીતશે તો મહિલાઓને ૫૦૦ નહીં પણ ૨૦૦૦ રૂપિયા આપશે. આ દિવસે વિપક્ષી નેતાએ પટનાની સભા પર પણ આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા.

મમતા બેનર્જી, સીતારામ યેચુરી અને રાહુલ ગાંધીની બેઠક પર નિશાન સાધતા શુભેન્દુ અધિકારીએ કહ્યું, કોંગ્રેસ, તૃણમૂલ અને સીપીએમએ ગઠબંધન કર્યું છે. આમ કરવાથી કોઈ ફાયદો નથી. દેશની જનતા ભાજપને ફરીથી સત્તા પર બેસાડશે. શુભેન્દુ અધિકારીએ કહ્યું, જો નરેન્દ્ર મોદીને દિલ્હીમાંથી હટાવવામાં આવશે તો ભ્રષ્ટાચારની તમામ તપાસ બંધ થઈ જશે. તેથી જ તે ‘ચોરોનું ગઠબંધન’ છે.