બલૂચિસ્તાનના બલૂચ વિરોધીઓએ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જોરદાર પ્રદર્શન કર્યું

ઈસ્લામાબાદ, પાકિસ્તાનની આંતરિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘણી વખત સિંધ પ્રાંતને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ પણ ઉઠી છે. દરમિયાન, બલૂચિસ્તાનના બલૂચ વિરોધીઓએ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જોરદાર પ્રદર્શન કર્યું. પાકિસ્તાનમાં બલૂચ યુવાનોની હત્યાના વિરોધમાં બલૂચ વિરોધીઓએ ઈસ્લામાબાદમાં જોરદાર પ્રદર્શન અને લોંગ માર્ચ યોજી હતી. જો કે, આ કૂચ ઈસ્લામાબાદમાં પ્રવેશે તે પહેલા ગુરુવારે પોલીસે તેને અટકાવી દીધી હતી. આ પ્રદર્શનકારીઓની ભીડને વિખેરવા માટે પોલીસે ભારે વોટર કેનનનો ઉપયોગ કર્યો અને દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો.

પોલીસે ૨૦૦ પ્રદર્શનકારીઓને તેમની કસ્ટડીમાં લીધા છે અને તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. ધરપકડ કરાયેલા દેખાવકારોમાં અગ્રણી નેતા મેહરંગ બલોચ પણ સામેલ છે. જોકે, પાકિસ્તાનની રખેવાળ સરકારે ધરપકડ કરાયેલી તમામ મહિલાઓ અને બાળકોને મુક્ત કરી દીધા છે. બલોચ યાક-જેહતી કમિટીના બેનર હેઠળ દેખાવકારોએ ૧૯ ડિસેમ્બરે રાજ્ય પ્રાયોજિત હિંસા વિરુદ્ધ ડેરા ગાઝી ખાનથી ઈસ્લામાબાદ સુધી લાંબી કૂચ શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં ૨૪ વર્ષીય બલોચ યુવક મોલા બક્ષનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. ત્યારથી બલૂચ યુવાનો વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મ્રૂઝ્રએ એક એક્સ-પોસ્ટમાં કહ્યું કે ગુરુવારે, જ્યારે માર્ચ ઇસ્લામાબાદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે પંજાબ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. મહિલાઓ સહિત ડઝનબંધ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે ગુરુવારે બલૂચ પ્રદર્શનકારીઓની ધરપકડને ગેરકાયદેસર ગણાવી અને ધરપકડને ઠપકો આપ્યો. ચીફ જસ્ટિસ અમીર ફારુકે આ મામલામાં પોલીસ મહાનિરીક્ષક ‘આઈજી’ અકબર નાસિર ખાનને સમન્સ પાઠવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે.બલૂચ વિરોધીઓની ફરિયાદોના નિરાકરણ માટે મંત્રી ફવાદ હસનની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.