બાલાસિનોર મધ્યાહન ભોજન યોજનામાં ભારે ભ્રષ્ટાચાર બાદ પુન: ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ

  • ગુથલી ગામના સંચાલકની ભરતી પ્રક્રિયાનું મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો.

બાલાસિનોર તાલુકામાં દસ મહિના અગાઉ મધ્યાહન ભોજન બાબતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે ભરતીમાં ભારે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠી હતી. જે બાબતે ગુથલી સંચાલક દ્વારા હાઇકોર્ટનો આશરો લેવામાં આવ્યો હોવાનું સત્તાવાર માહિતી મળેલ છે. જે બાદ પૂન: સંચાલક, રસોઈયા અને મદદનીશની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકામાં મધ્યાહન ભોજનમાં સંચાલકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બાલાસિનોર તાલુકાના વણાકબોરી, દોલત પોરડા, ઈન્દિરા આવાસ અને પસાયતમાં સંચાલકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વણાકબોરી-16, દોલત પોરડા-9, ઈન્દિરા આવાસ-12 , પસાયતા-11 અરજીઓ કરવામાં આવી છે. જ્યારે 15 કુક કમ હેલ્પર અને 4 હેલ્પરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ચાલુ સાલે ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે ભરતી પ્રક્રિયામાં 2 અરજદારો ગેરહાજર રહ્યા હતા. જ્યારે હવે નિમણૂંક આપવાની બાકી હોવાથી અરજદારો દ્વારા લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વિના ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને મેરીટ અને ગુણવત્તા સર આવતા અરજદારોની નિમણુક આપવામાં આવે તેવી માંગ કરી હતી.

સંચાલકની ભરતી પ્રક્રિયામાં અનેક ભ્રષ્ટાચાર ના આરોપ લાગ્યા હતા….

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકામાં દસ મહિના અગાઉ ચાર જગ્યા પર સંચાલકની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં મેરીટ અને શૈક્ષણિક અનુભવને સાઈડમાં મૂકીને જે અરજદાર પૈસા વધારે આપે તેની પ્રથમ ક્રમાંકે નિમણૂંક કરવામાં આવી હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. જે બાબતે નિમણૂંક બાદ પણ દોલતપોરડા, ગુથલી સહિત સંચાલકોની ભરતી રદ કરવામાં આવી હતી.