અયોધ્યામાં રામનવમીએ ભગવાન રામને ૧૧૧૧૧૧ કિલો લાડૂનો ભોગ ધરાવાશે

અયોધ્યા : રામ નવમીને લઇને માત્ર અયોધ્યા જ નહીં, પરંતુ દેશભરના ભક્તો ઉત્સાહિત છે. આ અવસર પર ૧૭ એપ્રિલે અયોધ્યા માં નવનિર્મિત રામ મંદિરમાં ૫૦ લાખથી વધુની ભીડ થવાની સંભાવના છે. મિર્ઝાપુરથી ૧,૧૧,૧૧૧ કિલો લાડુ લોકોને વિતરણ માટે મોકલવામાં આવી રહ્યા છે. શહેરના સાળા હંસ બાબા ટ્રસ્ટ દ્વારા પ્રસાદ મોકલવામાં આવી રહ્યો છે. ૨૨ જાન્યુઆરીએ, અયોધ્યા માં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, દેવરાહ હંસ બાબા આશ્રમે ૧,૧૧૧ મણ લાડુ (એક મણ બરાબર ૪૦ કિલો) અર્પણ માટે મોકલ્યા હતા. રામનવમી પર ઉત્તર પ્રદેશના અયોધ્યા માં અંદાજે ૪૦ લાખ ભક્તોના આગમનના અનુમાનને ધ્યાનમાં રાખીને, રામ મંદિર ટ્રસ્ટે ૧૫ થી ૧૮ એપ્રિલ સુધી વીઆઇપી દર્શન અને વીઆઇપી પાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

મંદિર ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભક્તો સુગમ દર્શન પાસ અને આરતી પાસનો ઉપયોગ કરી શકાશે નહીં. આ સમયગાળા માટે ઓનલાઈન જાહેર કરાયેલા સુગમ અને આરતી પાસ રદ કરવામાં આવ્યા છે. ઓફિસ ઈન્ચાર્જે કહ્યું કે રામ નવમીની મુખ્ય તારીખો પર આવતી ભીડને ધ્યાનમાં રાખીને વધુને વધુ ભક્તો રામલલ્લાના દર્શન કરી શકે તે માટે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ અંતર્ગત સુગમ દર્શન અને આરતી માટેના પાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે સોમવારથી ગુરુવાર સુધી દરરોજ સતત ૨૦ કલાક દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. રામલલાના શણગાર, પ્રસાદ, રાગ પૂજા અને આરતી માટે ૪ કલાકનો સમય રાખવામાં આવ્યો છે. ૧૫ થી ૧૮ એપ્રિલ સુધી રામલલાના દરબારમાં વીઆઇપી દર્શન પર પ્રતિબંધ રહેશે. માર્ગદર્શિકા જાહેર કરતી વખતે, ટ્રસ્ટે કહ્યું છે કે સોમવારથી ચાર દિવસ સુધી વીઆઈપી દર્શન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. જેમણે ૧૫ થી ૧૮ એપ્રિલની વચ્ચે વીઆઇપી પાસ બનાવ્યા છે, તેમના પાસ પણ રદ ગણવામાં આવશે.

ચૈત્ર શુક્લ સપ્તમી એટલે કે સોમવારથી અયોધ્યા માં ભક્તોની ભીડ વધવાની શક્યતા છે. તેને જોતા રામ મંદિર ટ્રસ્ટે વીઆઇપી દર્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અપીલ કરી છે કે વીઆઈપી પ્રોટોકોલ ધારકો આ તારીખો પર અયોધ્યા ન આવે. ભીડમાં વીઆઇપી દર્શન શક્ય નહીં બને. પહેલાથી બનાવેલા સ્પેશિયલ અને સુગમ પાસ ૧૮મી એપ્રિલ સુધી માન્ય રહેશે નહીં. આવી સ્થિતિમાં પાસ ધારકોને વીઆઇપી સુવિધા પણ આપવામાં આવશે નહીં.