અવામી લીગના નેતાની હોટેલમાં ૨૪ને જીવતાં બાળી નાખ્યાં

બાંગ્લાદેશના શેખ હસીનાની સરકારને હટાવવા થયેલા હિંસક આંદોલન અટકાવવાનું નામ લઈ રહ્યા નથી. ખાસ કરીને અવામી લીગના નેતાઓ અને લઘુમતી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. મોટાપાયે હત્યાઓ થઈ રહી છે. ઢાકામાં અવામી લીગના એક નેતાની હોટલમાં આગચંપી કરતાં ત્યાં હાજર લગભગ ૨૪ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. જેમાં ઈન્ડોનેશિયાનો એક નાગરિક પણ સામેલ છે. જે આ હોટલમાં રોકાયો હતો. સોમવારે મોડી રાત્રે ટોળાએ જોશોર જિલ્લામાં અવામી લીગના જનરલ સેક્રેટરી શાહીન ચક્કલદારની માલિકીની જબીર ઇન્ટરનેશનલ હોટલને આગ ચાંપી હતી, જેમાં ૨૪ લોકો માર્યા ગયા હતા.

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના લોકો હોટલમાં રોકાયા હતા. ઢાકાના એક સ્થાનિક પત્રકારે કહ્યું, ’મૃતકોમાં એક ઈન્ડોનેશિયાનો નાગરિક પણ સામેલ છે.’ જોશોર જનરલ હોસ્પિટલના ડોકટરોએ પુષ્ટિ કરી છે કે તેઓએ ૨૪ મૃતદેહો મળ્યા છે, જ્યારે બચી ગયેલા હોટલ સ્ટાફને ભય વ્યક્ત કર્યો છે કે, કાટમાળ નીચે વધુ મૃતદેહો હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અવામી લીગ સરકારનો વિરોધ કરતા રોષે ભરાયેલા ટોળાએ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી હતી જે ઉપરના માળ સુધી ફેલાઈ હતી.બાંગ્લાદેશમાં આ હિંસક આંદોલનમાં અત્યારસુધી ૪૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં અવામી લીગના ૨૦થી વધુ નેતાઓની હત્યા કરવામાં આવી છે. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ દેશ છોડી જતાં રહેતાં બાંગ્લાદેશમાં અરાજક્તા ફેલાઈ છે. અત્યારસુધી ૪૪૦ લોકોના મોત થયા છે. દેશમાં સેના આ સ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહી છે. બાંગ્લાદેશમાં સોમવારે અરાજક્તા ફેલાઈ હતી. હસીનાના દેશ છોડવાના સમાચાર ફેલાતાંની સાથે જ સેંકડો લોકો તેમના ઘરમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી લૂંટ ચલાવી હતી.