અસ્થિર પરિસ્થિતિઓને કારણે બાંગ્લાદેશમાં ભારતીય વિઝા કેન્દ્રો અનિશ્ચિત સમય માટે બંધ

પાડોશી દેશમાં અશાંતિના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો, ત્યારબાદ બાંગ્લાદેશમાં તમામ ભારતીય વિઝા અરજી કેન્દ્રો આગામી સૂચના સુધી બંધ રહેશે. ભારતીય વિઝા માટે અરજી કરવા માટેના ઓનલાઈન પોર્ટલ પર હવે એક સંદેશ છે, અસ્થિર પરિસ્થિતિને કારણે તમામ આઇવીએસીએસ આગામી સૂચના સુધી બંધ રહેશે. આગામી અરજીની તારીખ દ્વારા જણાવવામાં આવશે અને આગામી કાર્યકારી દિવસે પાસપોર્ટ એકત્રિત કરવા વિનંતી કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં અસ્થિર પરિસ્થિતિ વચ્ચે નવી દિલ્હીએ પોતાના હાઈ કમિશન અને કોન્સ્યુલેટમાંથી બિનજરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારોને બહાર કાઢ્યાના એક દિવસ બાદ આ માહિતી સામે આવી છે. જો કે, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓ હજુ પણ દેશમાં છે અને મિશન પર કામ કરી રહ્યા છે.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતનું હાઈ કમિશન છે અને ચિત્તાગોંગ, રાજશાહી, ખુલના અને સિલ્હેટમાં કોન્સ્યુલેટ છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ સરકાર સામે ભારે વિરોધને કારણે ૭૬ વર્ષીય નેતાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને ભારત આવવું પડ્યું હતું.

આ પછી સેનાના સમર્થનથી વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને ગ્રામીણ બેંકના સ્થાપક મોહમ્મદ યુનુસ આ રખેવાળ સરકારનું નેતૃત્વ કરશે.પાડોશી દેશની સ્થિતિ વિશે વાત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે લગભગ ૧૯ હજાર ભારતીયો બાંગ્લાદેશમાં છે, જેમાંથી ૯ હજાર વિદ્યાર્થીઓ છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિરોધ વચ્ચે ભારત પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર ત્યાં રહેતા ભારતીય સમુદાયના નજીકના સંપર્કમાં છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર બાંગ્લાદેશમાં રહેતા લઘુમતીઓની સ્થિતિ પર નજર રાખી રહી છે.