
કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. સીબીઆઈએ સોમવારે કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પહેલા ED એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ લગભગ ૨૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરી હતી.
કેજરીવાલની ગયા મહિને ૨૬ જૂને સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ૨૧ માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના વડાને ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. જો કે ઈડીએ તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે, જેમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ તેને દારૂ કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે.
વિકાસની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં મુખ્ય કાવતરાખોરોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યા છે જેમાં આમ આદમી પાર્ટીએ ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ છે. ગયા મહિને, કેજરીવાલના રિમાન્ડની માંગ કરતી વખતે, સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલ ગુનાહિત ષડયંત્રના મુખ્ય કાવતરાખોરોમાંથી એક છે. એવું બહાર આવ્યું છે કે કેજરીવાલના નજીકના સાથી વિજય નાયર (આપ ના ભૂતપૂર્વ મીડિયા પ્રભારી) દારૂના વેપારીઓનો સંપર્ક કરી રહ્યા હતા અને સૂચિત દારૂ નીતિમાં લાભોના બદલામાં લાંચની માંગણી કરી રહ્યા હતા. સીબીઆઈએ પહેલીવાર એપ્રિલ ૨૦૨૩માં કેજરીવાલની પૂછપરછ કરી હતી.
એજન્સીએ આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતા સહિત ૧૮ આરોપીઓ સામે અત્યાર સુધીમાં કુલ પાંચ ચાર્જશીટ દાખલ કરી છે.સીબીઆઇએ દાવો કર્યો છે કે ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી અને તેમાંથી ૪૪.૪૫ કરોડ રૂપિયા હવાલા ચેનલો દ્વારા જૂન ૨૦૨૧ થી જાન્યુઆરી ૨૦૨૨ વચ્ચે ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મોકલવામાં આવ્યા હતા.