કર્ણાટક હાઈકોર્ટના ૬ જજને જાનથી મારી નાખવાની ધમકી મળી:પાકિસ્તાની એકાઉન્ટમાં ૫૦ લાખ જમા કરાવો

બેંગ્લોર, કર્ણાટક હાઈકોર્ટના છ જજને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ કોર્ટના જનસંપર્ક અધિકારી (પીઆરઓ) મુરલીધરને ઈન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ પર કોલ અને મેસેજ કરીને આ ધમકી આપી હતી અને 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

ફોન કરનારે પાકિસ્તાની બેંક ABL એલાઈડ બેંક લિમિટેડનો એકાઉન્ટ નંબર પણ આપ્યો હતો અને કહ્યું હતું કે જો પૈસા જમા નહીં થાય તો દુબઈની ગેંગ જજને ઉડાવી દેશે. ફોન કરનારે પીઆરઓ સાથે કેટલાક નંબરો પણ શેર કર્યા અને કહ્યું કે આ ભારતીય શૂટર્સ અમારા પોતાના શૂટર્સ છે.

જે જજોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તેમના નામ છે જસ્ટિસ મોહમ્મદ નવાઝ, એચટી નરેન્દ્ર પ્રસાદ, અશોક નિજગન્નાનવાર, કે નટરાજન અને વીરપ્પા.

પીઆરઓએ જણાવ્યું કે 12 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યે ફોન આવ્યો હતો. ધમકી આપનાર હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં મેસેજ મોકલતો હતો. પીઆરઓએ આ મામલે બેંગલુરુ પોલીસમાં FIR નોંધાવી છે.

મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે RDX ભરેલું ટેન્કર અને બે પાકિસ્તાની નાગરિકો ગોવા જવા રવાના થયા છે. ફોન કરનારે પોતાની ઓળખ પાંડે તરીકે આપી હતી. પોલીસે તે જ દિવસે કોલનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને કોલ કરનારને શોધખોળ કરી હતી.