અમે સાથે લડ્યા છીએ અને સાથે રહીશું, મોહમ્મદ યુનુસે વિદ્યાર્થીઓને હિંદુઓને લઈને ભાવનાત્મક અપીલ કરી હતી

હવે બાંગ્લાદેશના હિંદુ સમુદાય અને અન્ય લઘુમતીઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસા સામે એક થયા છે. શનિવારે, લઘુમતી સમુદાયના લાખો લોકો વિરોધ કરવા અને તેમની એક્તા દર્શાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને દેશના બીજા સૌથી મોટા શહેર ચિત્તાગોંગમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લઘુમતીઓ સામેની હિંસાનો વિરોધ કર્યો હતો.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા મોહમ્મદ યુનુસે પણ લઘુમતીઓ સામેની હિંસા પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને ઘૃણાસ્પદ ગણાવી હતી. મોહમ્મદ યુનુસે આંદોલનકારી વિદ્યાર્થીઓને લઘુમતી હિંદુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધોને બચાવવાની અપીલ કરતા કહ્યું કે, શું આ આપણા દેશના લોકો નથી? જો તમે દેશને બચાવ્યો છે, તો શું તમે કેટલાક પરિવારોને બચાવી શક્તા નથી?… તમારે કહેવું જોઈએ કે કોઈને નુક્સાન નહીં થાય. તે અમારો ભાઈ પણ છે. અમે સાથે લડ્યા છીએ અને સાથે રહીશું.

રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ત્યારથી દેશના ૫૨ જિલ્લામાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ૨૦૫ ઘટનાઓ બની છે. હિંસાની આ ઘટનાઓમાં સેંકડો લઘુમતીઓ ઘાયલ થયા છે અને ઘણા મકાનો ધરાશાયી થયા છે. ઘણા હિંદુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. હિંસાની ઘટનાઓમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના બે હિન્દુ નેતાઓના પણ મોત થયા છે. હિન્દુ સમુદાયના હજારો લોકો દેશ છોડવાની યોજના બનાવી રહ્યા છે.

શનિવારે મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના લોકો ઢાકાના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે લઘુમતીઓ વિરુદ્ધ હિંસા કરનારાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે. તેમજ સંસદમાં ૧૦ ટકા બેઠકો લઘુમતીઓ માટે અનામત હોવી જોઈએ. લઘુમતી સંરક્ષણ કાયદો બનાવવો જોઈએ. દેખાવકારોએ કેટલાય કલાકો સુધી રસ્તા રોક્યા હતા. આ દરમિયાન ઘણા મુસ્લિમો અને વિદ્યાર્થીઓએ પણ લઘુમતીઓને સમર્થન આપ્યું હતું.