
નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી જીતી લીધી હતી. મહેમાનને ૩-૦થી ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતે હવે ટી ૨૦ સિરીઝ રમવાની છે. આ મહત્વપૂર્ણ શ્રેણી પહેલા જ ટીમ ઈન્ડિયા માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ઓપનર કાંડાની ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામેની ટી૨૦ મેચમાંથી બહાર થઈ શકે છે.મંગળવારે ભારતે ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જીતી હતી અને તેના થોડા કલાકો બાદ ટીમના ઓપનર ૠતુરાજ ગાયકવાડની ઈજાના સમાચાર સામે આવ્યા હતા.તે ગયા વર્ષે શ્રીલંકા સામે રમાયેલી સીરીઝ પહેલા બહાર થઈ ગયો હતો. વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પસંદગીકારોએ તેને ટીમમાં જગ્યા આપી હતી પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની આગામી શ્રેણીમાં રમવું તેના માટે મુશ્કેલ છે. હાર્દિક પંડ્યા ટીમનું સુકાન સંભાળશે જ્યારે સૂર્યકુમાર યાદવ વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. ભારતીય ટીમમાં ઓપનર તરીકે શુભમન ગિલ, ઈશાન કિશન અને પૃથ્વી શૉ ટીમમાં હાજર છે.
બીસીસીઆઇ અધિકારીએ કહ્યું, “હા, ૠતુરાજ કાંડાની ઈજાને કારણે એનસીએ (નેશનલ ક્રિકેટ એકેડમી)માં છે. અમને હજુ સુધી ખબર નથી કે તેની ઈજા કેટલી ગંભીર છે, પરંતુ બધા જાણે છે કે શ્રેણીમાં વધુ સમય બાકી નથી, તેથી તેના માટે સમયસર ફિટ થવું મુશ્કેલ છે. તેણે સ્કેન કરાવવું પડશે અને એક વાર રિપોર્ટ્સ આવશે તો જ અમને કંઈપણ ખબર પડશે. અમારી પાસે હાલમાં ટીમમાં ૪ થી ૫ ઓપનર છે, પરંતુ તે બધું પસંદગીકારો પર નિર્ભર કરે છે કે તેઓ તેમની જગ્યાએ કોઈનું નામ લે છે કે નહીં.
ભારતીય ટીમ ૨૭ જાન્યુઆરીએ રાંચીમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી 20 શ્રેણીની પ્રથમ મેચ રમવાની છે. બીજી મેચ ૨૯ જાન્યુઆરીએ લખનઉમાં રમાશે જ્યારે છેલ્લી ટી ૨૦ મેચ ૧ ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાવાની છે.
ન્યૂઝીલેન્ડ ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમ:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, ૠતુરાજ ગાયકવાડ (એનસીએમાં રમવાની શંકા), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ. , યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર.