
દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને સાત દિવસમાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય થોડું બગડતા તેમને બુધવારે રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર છે.
આ પહેલા ૨૬ જૂને પણ તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમને યુરોલોજી વિભાગના ડોકટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. તબીબોએ જણાવ્યું હતું કે અડવાણીનું નાનું ઓપરેશન થયું છે. આ પછી બીજા દિવસે તેને રજા આપવામાં આવી હતી.
૩૧ માર્ચે લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર હતા. અગાઉ ૨૦૧૫માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.