અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિર તૈયાર ’૧૪ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન

  • અબુધાબીમાં બનતું મંદિર યુએઇમાં જ નહીં પણ પશ્ચિમ એશિયામાં સૌ પ્રથમ હિન્દુ મંદિર છે.

નવીદિલ્હી, સંયુક્ત આરબ અમીરાતમાં (યુએઇ) ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ૧૪ ફેબ્રુઆરીના રોજ થશે.યુએઇના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને લઈને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ દિવસ બંને દેશો માટે ઐતિહાસિક બની રહેશે. આ મંદિર ભારત અને યુએઇના સંબંધો વધુ ગાઢ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુએઇના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મોદી દ્વારા ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ યુએઈની રાજધાની અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

અબુધામીમાં હિન્દુ મંદિર સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ દ્વારા બનાવવામાં આવ્યું છે.યુએઇના રાજદૂત વધુમાં કહ્યું કે, “અમે ૧૪ ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તે અભૂતપૂર્વ સ્મારક દિવસ હશે. તે અમારા સંબંધોને વધુ સુધારવાનો દિવસ હશે.” નોંધનીય છે કે ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન વડાપ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે અમદાવાદમાં રોડ શો કર્યો હતો.

વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન બંને દેશો વચ્ચે ગ્રીડ કનેક્ટિવિટીની શક્યતાઓ શોધવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાનું વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ માહિતી આપતા જણાવ્યું. તેમણે કહ્યું કે રિન્યુએબલ એનર્જી પર એક કરાર છે, જેમાં ગ્રીન હાઇડ્રોજન અને સોલર એનર્જી પણ સામેલ છે. ઉપરાંત લોજિસ્ટિક્સ, હેલ્થ ઈનોવેશન્સ અને ફૂડ પાર્કની સ્થાપના સાથે સંબંધિત સમજૂતી પર પણ કરાર કરાયા છે. આ કરારથી વૈશ્વિક પડકારોને પહોંચી વળવા અને બધા માટે સ્થિરતા અને સમૃદ્ધિ હાંસલ કરવામાં વધુ સહાયરૂપ બનતા આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.

૧૪ ફેબ્રુઆરીએ અબુધાબીના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે. જ્યારે તેના અગાઉના દિવસે એટલે કે ૧૩ ફેબ્રુઆરીના રોજ પીએ મોદીને લઈને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું શીર્ષક ‘અહલાન મોદી’ છે, જેનો અનુવાદ ‘હેલો મોદી’ થાય છે. આ કાર્યક્રમ અબુ ધાબીના શેખ જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં યોજાવમાં આવશે. નોંધનીય છે કે યુએઈમાં સાઉદી અરેબિયા અને અમેરિકા કરતા ૩.૫ મિલિયન જેટલા વિદેશી ભારતીયો રહે છે. આ સંખ્યા દર્શાવે છે કે વિદેશોમાં ભારતીયોની લોકપ્રિયતા વધી રહી છે. આથી ભારતીયોના આસ્થાના પ્રતિક સમા હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરનું મોટાભાગનું નિર્માણકાર્ય સંપન્ન થયું હોવાથી ૧૪મી ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરનો શિલાન્યાસ પીએમ મોદીએ જ વર્ષ ૨૦૧૮માં કર્યો હતો. વર્ષ ૨૦૧૫થી આ મંદિર નિર્માણનું કામ શરૂ થયું હતું. આ મંદિર ૧ હજાર વર્ષ સુધી અડીખમ રહી શકે તેવી રીતે બીએપીએસ દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

અબુધાબીમાં બનતું મંદિર યુએઇમાં જ નહીં પણ પશ્ચિમ એશિયામાં સૌ પ્રથમ હિન્દુ મંદિર છે. યુએઈમાં અંહીની વસ્તીના લગભગ ૩૦ ટકા ભારતીયોની વસવાટ કરી રહ્યા છે. અંદાજ મુજબ અંહીયા ૨૬ લાખ ભારતીયો રહે છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા યુએઈની રાજધાની અબુધાબીમાં બનતા હિંદુ મંદિરનું કામકાજ સંભાળી રહી છે. આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્ય પાછળ અંદાજે ૭૦૦ કરોડના ખર્ચે થયો હોવાનું અનુમાન છે. ૭૦ હજાર સ્કવેયરફૂટમાં પથરાયેલ મંદિરમાં ૨૦૦૦થી વધુ કલાકૃતિઓ લગાવવામાં આવશે.