આવતીકાલે વધુ 119 ભારતીયો USથી ડિપોર્ટ થશે:USથી આવતી બીજી ફ્લાઇટમાં 8થી 10 ગુજરાતી, પંજાબના સૌથી વધુ; ત્રીજી ફ્લાઇટ રવિવારે અમૃતસર લેન્ડ થશે

ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બે ખાસ ફ્લાઇટ્સ અમેરિકાથી એક પછી એક ભારત આવી રહી છે. પહેલી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે, જ્યારે બીજી ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ પહોંચશે. શનિવારે આવતી ફ્લાઇટમાં 8 ગુજરાતીનો સમાવેશ થયો છે. ફ્લાઇટ શનિવારે રાતે પહોંચે તેવી શક્યતા છે.

ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઊતરશે. મળતી માહિતી પ્રમાણે, અમેરિકાએ વધુ 119 ભારતીયોને દેશનિકાલ કર્યા છે. આમાંથી મોટાભાગના પંજાબના હોવાનું કહેવાય છે. અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો પંજાબના, હરિયાણાના 33 અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થાય છે.

ત્યાં જ 16 ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઊતરશે. સ્થાનિક વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટીએ આ ખાસ વિમાનો માટે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગેની લેખિત માહિતી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવી છે.

આ પહેલાં 5 ફેબ્રુઆરીએ એક યુએસ લશ્કરી વિમાન 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચ્યું હતું. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા અમૃતસર પહોંચ્યો. આ વિમાનમાં કુલ 104 ભારતીયો હતા, જેમાં 79 પુરુષો અને 25 મહિલા હતી. આ ભારતીયોમાંથી 33 ગુજરાતના હતા.

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા પરંતુ ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

સંસદમાં હોબાળો થયો હતો

આ અંગે સંસદમાં ઘણો હોબાળો થયો હતો. વિપક્ષે ડિપોર્ટ થયેલાં ભારતીયોને હાથકડી અને બેડીઓથી બાંધેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારે આ અંગે સ્પષ્ટતા આપવી પડી. એસ જયશંકરે પોતે સંસદમાં કહ્યું હતું કે આ પ્રક્રિયા નવી નથી. અમેરિકા ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરતું રહ્યું છે. તેમણે વર્ષ-દર-વર્ષનો ડેટા બતાવ્યો.

ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર પીએમ મોદીએ શું કહ્યું?

અમેરિકાના પ્રવાસે રહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા તેમના નાગરિકોને સ્વીકારશે. વડાપ્રધાન મોદીએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે આ ફક્ત ભારતનો મુદ્દો નથી, આ એક વૈશ્વિક સમસ્યા છે. જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદે રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, જો કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા પુષ્ટિ થાય છે અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે, તો ભારત તેમને પાછા લેવા તૈયાર છે.