આચાર્યનાં 12-15 વર્ષની વિદ્યાર્થિનીઓને અડપલાં:એક બાદ એક 37 સગીરાએ આશ્રમશાળાના નરાધમનાં કરતૂત ખોલ્યાં

સુરતના માંડવીની આશ્રમશાળાના 52 વર્ષના આચાર્યની કરતૂતો ખુલ્લી પાડવા માટે એક બાદ એક વિદ્યાર્થિનીઓ સામે આવી રહી છે. યોગેશ નાથુ પટેલે 12-15 વર્ષની 37 જેટલી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનો ખુલાસો થયો છે.પોલીસે આચાર્યની હેવાનિયતનો ભોગ બનેલી તમામ 37 વિદ્યાર્થિનીઓની મેડિકલ તપાસ કરાવી છે હવે આ તમામ વિદ્યાર્થિનીઓનાં ફરિયાદના આધારે સીઆરપીસીની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાશે.

છોકરીઓએ મહિલા અધિકારી અને પોલીસ સામે નિવેદન આપ્યાં

આદિવાસી વિસ્તારોમાં રહેતા ગરીબ માતા-પિતા તેમની દીકરીઓને માંડવીના નરેણ આશ્રમશાળામાં ભણવા મોકલતાં હતાં. આશ્રમશાળામાં અભ્યાસ કરતી 80 વિદ્યાર્થિનીની જવાબદારી આ આશ્રમશાળાના આચાર્ય પર હતી. પરંતુ કોઈને ખબર ન હતી કે, જે આચાર્ય પર વિશ્વાસ રાખીને તેઓ પોતાની દીકરીઓને ભણાવવા માટે આશ્રમશાળા મોકલ્યા છે તે જ આશ્રમશાળાના આચાર્ય તેમની સાથે છેડતી કરશે. નરેણ આશ્રમશાળાના લંપટ આચાર્ય યોગેશ પટેલે અત્યારસુધી 37 જેટલી છોકરીઓ સાથે અડપલાં કર્યા છે અને આ અંગે છોકરીઓએ મહિલા અધિકારી અને પોલીસ સામે નિવેદન આપ્યા છે. જેના આધારે બે દિવસમાં આ તમામ 37 છોકરીઓની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે.

પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા

આશ્રમશાળાની 37 છોકરીએ આચાર્ય વિરુદ્ધ નિવેદન આપ્યાં છે. જેને સાંભળી માત્ર મહિલા અધિકારી નહીં, પણ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. એકસાથે એક જ આશ્રમશાળામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ જ્યારે પોતાના આચાર્ય વિરુદ્ધ આપવીતી સંભળાવી ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

હવે આ તમામ 37 વિદ્યાર્થિનીઓ સીઆરપીસી 164નું નિવેદન આપશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે નિવેદન આપનારને કોટરૂમમાં મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવે છે અને તેમનો સ્ટાફ અને નિવેદન નોંધાવનાર સિવાય કોઈ હાજર હોતું નથી. જેના કારણે એવું માનવામાં આવે છે કે, જે આરોપી અથવા તો સાક્ષી મેજિસ્ટ્રેટ સામે બિલકુલ કોઈ જાતના ભય વગર સાચું બોલી શકશે. આ સાથે જ તેને સત્ય બોલવાના શપથ પણ લેવડાવવામાં આવે છે. આ તમામ બાળકીઓ હવે લંપટ આચાર્ય વિરુદ્ધ મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધાવશે.