મકાનમાલિકે ૯ વર્ષની બાળકીનું અપહરણ કર્યું, બળાત્કાર કર્યો અને ચાલતી કારમાં હત્યા કરી દીધી

નવીદિલ્હી, દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ૯ વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં મોટી માહિતી સામે આવી છે. ભાડુઆતની ૯ વર્ષની પુત્રીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરનાર ૫૨ વર્ષીય આરોપીએ ૧૫ ડિસેમ્બરે તેના પરિવારના સભ્યોને આ ઘટના વિશે જણાવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ તેના પરિવારને કહ્યું હતું કે તેણે છોકરી સાથે શું કર્યું હતું. તેની વાત સાંભળ્યા બાદ તેના પરિવારના સભ્યોએ ૧૫ ડિસેમ્બરે તેની મારપીટ કરી હતી. બાદમાં આરોપીએ તેનું સ્કૂટર લીધું, ત્યારબાદ તેનો અકસ્માત થયો. રિપોર્ટ્સ અનુસાર બાળકીનો મૃતદેહ હજુ સુધી રિકવર થયો નથી. આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગોતાખોરો અને એનડીઆરએફના જવાનોની ૧૦ થી વધુ ટીમો મૃતદેહની શોધ કરી રહી છે.

હકીક્તમાં, સ્વરૂપ નગર વિસ્તારના એક મકાનમાલિકે કથિત રીતે આ છોકરીનું ૧૨ ડિસેમ્બરે અપહરણ કર્યું હતું અને પછી બળાત્કાર કર્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. બાદમાં આરોપીએ મૃતદેહને દિલ્હીની બહાર એક કેનાલમાં ફેંકી દીધો હતો. આ કેસમાં પોલીસે જણાવ્યું કે, ૧૨ ડિસેમ્બરે જ્યારે બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે આરોપીએ તેને કથિત રીતે લલચાવી અને કારમાં બેસાડી. ત્યારબાદ આરોપી તેને એક અલગ વિસ્તારમાં લઈ ગયો, જ્યાં તેણે તેની કારમાં તેના પર બળાત્કાર કર્યો. પોતાનો ગુનો છુપાવવા તેણે યુવતીનું ગળું દબાવી હત્યા કરી હતી અને સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ તેની લાશને મુનાક કેનાલમાં ફેંકી દીધી હતી. આ કેસમાં કહેવામાં આવ્યું છે કે, પાછળથી ૧૫ ડિસેમ્બરે જ્યારે આરોપી સ્કૂટર પર ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થયો હતો. તેને રોહિણીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ફ્રેક્ચરને કારણે આરોપી નિવેદન આપી શક્યો ન હતો પરંતુ, બાદમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. બાળકીના દાદાએ મીડિયાને જણાવ્યું કે, ઘટના સમયે તેઓ શહેરમાં નહોતા. તેમણે કહ્યું, મને ૧૨ ડિસેમ્બરે મારા પુત્રનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે, તેની પુત્રી દિવસના ૨ વાગ્યાથી ગુમ થઈ છે. મેં તેને મકાનમાલિકને મદદ માટે બોલાવવાનું કહ્યું. મારા દીકરાએ તેમને બોલાવ્યા. જોકે, મકાનમાલિકે કહ્યું કે, તે પાણીપતમાં છે.” પીડિતાના પરિવારે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પીડિતાના પિતાનું કહેવું છે કે, આરોપીને ફાંસીની સજા મળવી જોઈએ.