મિચોંગએ વેર્યો વિનાશ ! આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં વાવાઝોડાનો કહેર,અત્યાર સુધી ૧૮ના મોત

  • આગામી ૨૪ કલાકમાં તમિલનાડુ અને રાયલસીમામાં ભારે વરસાદ થઈ શકે છે.

ચેન્નાઇ, ચક્રવાતી વાવાઝોડું મિચોંગ મંગળવારે બપોરે ૧ વાગ્યે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કર્યું હતું. અહીંના ૮ રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યા પર પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ વાવાઝોડાએ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે.

આંધ્રપ્રદેશના ૮ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, નેલ્લોરમાં સૌથી વધુ તબાહી જોવા મળી છે. આ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં મોટા વૃક્ષો ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે.

આંધ્રપ્રદેશમાં લગભગ ૩ કલાક સુધી તોફાનની અસર જોવા મળી હતી. આંધ્રપ્રદેશ પર આ ત્રણ કલાક કેટલા ભારે હતા તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હવે વાત કરીએ આ વાવાઝોડાના આગમન પહેલા સર્જાયેલી પૂરની કટોકટી, જેણે એરપોર્ટથી લઈને રહેણાંક વિસ્તારો સુધી બધું જ પાણીમાં ડૂબી ગયું હતું. ચેન્નાઈની ઘણી કોલોનીઓમાં કલાકો સુધી પાણી ભરાઈ ગયા હતા. પોશ વિસ્તારમાં લોકો હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા. તમિલનાડુના ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં પણ મંગળવારે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. કોર્પોરેશન કચેરીઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ અહીં બંધ રહી હતી. તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ પણ બંધ રાખવામાં આવી હતી. રવિવારથી અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોત થયા છે.

ચેન્નાઈ એરપોર્ટ ૧૬ કલાક સુધી પાણી ભરાઈ જવાને કારણે બંધ રહ્યું હતું. ૧૬ કલાક પછી ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ શકે છે. રનવે પર પાણી ભરાઈ જવાને કારણે ૭૦ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. ૩૦ ફ્લાઈટ ને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવા એરફોર્સની મદદ લેવામાં આવી હતી. વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ્સ અને રાશન છોડવામાં આવ્યા હતા જેથી લોકોને ભોજન મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.

ચક્રવાતની અસર અને અન્ય કારણોસર સતત ભારે વરસાદને કારણે ચેન્નઈમાં ૧૭ લોકોના મોત થયા છે, જ્યારે તિરુપતિમાં એક બાળકે જીવ ગુમાવ્યો છે. અહેવાલ મુજબ ચક્રવાતી વાવાઝોડું મંગળવારે બાપટલા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઓળંગી ગયું હતું, જેનાથી મોટું નુક્સાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાથી ૭૭૦ કિલોમીટરના રસ્તાને નુક્સાન થયું છે.એક અધિકારીએ જણાવ્યું કે ચક્રવાતી તોફાનની અસરથી ૧૯૪ ગામડાઓ અને બે નગરોના લગભગ ૪૦ લાખ લોકો પ્રભાવિત થયા છે, જેમાં ૨૫ ગામો પૂરની ઝપેટમાં છે. મંગળવારે વાવાઝોડાને કારણે કોઈ જાન-માલનું નુક્સાન થયું નથી. સોમવારે તિરુપતિ જિલ્લામાં એક ઝૂંપડીની દીવાલ ધરાશાયી થતાં ચાર વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં હરિયાણાની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ ઉપરાંત દક્ષિણ-પૂર્વ રાજસ્થાનની આસપાસ નીચલું ટ્રોપોસ્ફિયર રચાય છે. તેની અસરને કારણે આગામી ૨૪ કલાકમાં તમિલનાડુ અને રાયલસીમામાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ છત્તીસગઢમાં એક કે બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ, મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળમાં પણ ૮ ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા છે. જો કે આ રાજ્યોમાં જાનહાની કે જાનમાલના નુક્સાનની કોઈ શક્યતા નથી.