
અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યા માં રામ મંદિરનું ઉદ્ઘાટન ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થવાનું છે. ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે. સમારોહ માટે ’શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને રતન ટાટા સહિત લગભગ ૮ હજાર લોકોને આમંત્રણ મોકલ્યું છે. આ યાદીમાં અભિનેતા અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની સાથે ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે અયોધ્યા માં રામ મંદિર નિર્માણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ૩ ડિસેમ્બરે મંદિરના પ્રથમ સ્ટેજનું કામ પૂર્ણ કરવા માટે ૧ હજાર કામદારોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ કામ ૩૧મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે.
એક અહેવાલ અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભૂતપૂર્વ સિવિલ સર્વિસ ઓફિસર્સ, રિટાયર્ડ આર્મી ઓફિસર્સ, વકીલો, વૈજ્ઞાનિકો અને કવિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય સંગીતકારો, પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વ્યક્તિઓ અને સંતો અને પૂજારીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ તમામને વ્હોટ્સએપ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ૮ હજાર આમંત્રિતોમાંથી લગભગ ૬ હજાર દેશભરના સંતો અને પૂજારીઓ હશે. જ્યારે બાકીના ૨ હજાર લોકો વિવિધ વિસ્તારોમાંથી વીવીઆઈપી હશે. અધિકારીએ કહ્યું કે સમારોહ પહેલા દરેક સાથે એક લિંક શેર કરવામાં આવશે. દરેક વ્યક્તિએ આ લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પછી એક બાર કોડ જનરેટ થશે. આ બાર કોડનો ઉપયોગ એન્ટ્રી પાસ તરીકે કરી શકાય છે.
૧૯૯૦માં પોલીસ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં માર્યા ગયેલા લગભગ ૫૦ કાર સેવકોના પરિવારોને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં વિશ્વ હિન્દુ પરિષદ આ પરિવારો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરશે. ટ્રસ્ટ કાર સેવકોના પરિવારો માટે ત્રણ ટેન્ટ સિટી બનાવશે, જ્યાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. ડઝનબંધ ઓપન કિચન પણ બનાવવામાં આવશે.