
પટણા, બિહારમાં થયેલી જાતિ ગણતરીને લઈને હજુ પણ રાજનીતિ ચાલી રહી છે.બિહારના મુઝફરપુર જિલ્લામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાતિ ગણતરીમાં ગેરરીતિઓ અંગે વાત કરી અને નીતિશ સરકાર પર પ્રહારો કર્યા. તેમણે રાજ્ય સરકાર પર લાલુ પ્રસાદ યાદવના દબાણ સામે ઝૂકીને તુષ્ટિકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ ગૃહમંત્રી અમિત શાહના આ દાવા પર તીખી પ્રતિક્રિયા આપી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નીતિશ સરકાર પર તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ હોવાનો અને જાતિની વસ્તી ગણતરીમાં જાણી જોઈને મુસ્લિમો અને યાદવોની વસ્તી વધારવાનો આરોપ લગાવ્યો હતો. રેલીને સંબોધતા અમિત શાહે દાવો કર્યો હતો કે સીએમ નીતિશ કુમાર તેમના સાથી લાલુ પ્રસાદના દબાણને વશ થયા છે. તેમણે કહ્યું કે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ મુખ્યત્વે મુસ્લિમ મતદારો પર આધાર રાખે છે.
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ગૃહમંત્રી અમિત શાહના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે જો બિહારના જાતિ સર્વેક્ષણના આંકડા ખોટા છે તો કેન્દ્ર સરકાર આખા દેશ અને તમામ રાજ્યોમાં જાતિ ગણતરી કરીને તેનો ડેટા કેમ જાહેર કરતી નથી? તેમણે પૂછ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરી કેમ નથી કરાવતી?
ગૃહમંત્રી શાહે આક્ષેપ કર્યો હતો કે લાલુ-નીતીશની જોડીએ સર્વેમાં મુસ્લિમ અને યાદવ સમુદાયની વસ્તી વધારીને અત્યંત પછાત અને પછાત સમુદાયોને અન્યાય કર્યો છે. તેમણે કહ્યું કે આ સર્વે છેતરપિંડી છે. અમે તેને સમર્થન આપ્યું હતું પરંતુ અમને ખબર ન હતી કે લાલુજીના દબાણ હેઠળ યાદવો અને મુસ્લિમોની સંખ્યા વધારીને અતિ પછાત વર્ગો સાથે અન્યાય થશે.