ગોધરા, ગોધરા શહેર સહિત જિલ્લાભરમાં આવતીકાલે વિજયાદશમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પર્વ નિમિત્તે જિલ્લામાં ઠેર-ઠેર રાવણદહન અને શસ્ત્રપૂજન તેમજ ભવાઈ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમજ ગોધરા શહેરમાં રાવણદહન કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં રાજસ્થાનના ડુંગરપુરના વતની નાથુલાલ દ્વારા ગોધરા શહેરમાં રાવણ દહન માટે રાવણ અને મેઘનાથનાં પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. દશેરાને હવે એક જ દિવસ બાકી રહી ગયો છે, ત્યારે તેઓ અંતિમ તૈયારીઓમાં લાગી ગયા છે. દેવી શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યનો વિજયનું મહાપર્વ એટલે વિજયાદશમી પર્વની ગોધરા શહેર સહિત જિલ્લાભરમાં આવતીકાલે ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ગોધરામાં દશેરા પર્વને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય થયો તે દિવસને વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે રાવણ ઉપર વિજય મેળવ્યો તે દિવસે આસો સુદ દસમી હતી અને તેને દશેરા તરીકે મનાવવામાં આવે છે. ગોધરા શહેરમાં દશેરા પર્વને અનુલક્ષીને 35 ફૂટનું રાવણ અને 30 ફૂટનો મેઘનાથનું પ્રતિકાત્મક દહન કરી પર્વની ઉજવણી કરવામાં આવશે. જેને લઇને પૂરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.