દાહોદના દેસાઈવાડા ખાતે ચોથા માળે બંંધ મકાન માંથી તસ્કરોએ રોકડા 17 લાખ તેમજ દાગીનની ચોરી કરી

દાહોદ, દાહોદ શહેરના દેસાઈવાડા ખાતે આવેલ ચાર મંજીલી બિલ્ડીંગના ચોથા માળે એક બંધ મકાનમાંથી તસ્કરોએ રોકડા રૂપીયા 17 લાખ તેમજ 2- તોલા સોનાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળે છે.

મુળ રાજસ્થાનના બાંસવાડા જીલ્લામાં રહેતાં અને દાહોદ જીલ્લાના સંજેલી ખાતે ઈંટોમાં કામગીરી કરતાં જગદીશ ભરવાડ જેઓ દાહોદ શહેરના દેસાઈવાડા ખાતે છેલ્લા ફળિયામાં આવેલ એક ચાર મંજીલી બિલ્ડીંગના ચોથા માળે છેલ્લા કેટલાંય સમયથી ભાડાના મકાનમાં રહેતાં હતાં. સંજેલીમાં ઈંટોના ભઠ્ઠામાં કોલસાની જરૂરીયાત હોઈ કોલસાની ગાડીઓને આપવા માટે રોકડા રૂપીયા 17 લાખ લઈ પોતે દાહોદના પોતાના ભાડાના મકાનમાં આવ્યાં હતાં અને રોકડા રૂપીયા તિજોરીમાં મુક્યાં હતાં ત્યારે ગતરોજ તેઓ સંજેલી ઈંટોના ભઠ્ઠા ખાતે કામ માટે ગયાં હતાં અને દાહોદ શહેરના દેસાઈવાડા વિસ્તારના પોતાના ભાડાના મકાનને લોક મારેલ હતું ત્યારે રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી જગદીશભાઈ ભરવાડના ભાડા મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં મુકી રાખેલ તિજોરીમાં મુકી રાખેલ રોકડા રૂપીયા 17 લાખ તેમજ બે તોલા સોનાની ચોરી કરી લઈ નાસી ગયાં હતા. જ્યારે જગદીશભાઈ ભરવાડ પોતાના દાહોદ શહેરના દેસાઈવાડાના ભાડાના મકાનમાં આવતાં મકાનના દરવાજાનું તેમજ તિજોરીનું તાળુ તુટેલ હાલતમાં જોવા મળતાં તેઓ સ્તબ્ધ થઈ ગયાં હતાં અને આ સંબંધે દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. સમાચાર લખાય છે, ત્યાં સુધી આ મામલે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાંવવા પામી નથી.